CM ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે તેમણે જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી. ઉપરાંત કોંગ્રેસનાં આગેવાનો સાથે પણ CM પટેલે બેઠક યોજી હતી. જ્યાં કોંગ્રેસે દ્વારા આવેદનપત્ર પાઠવી રાજકોટને નવા પોલીસ કમિશનર મળે તથા અટકી પડેલા વિકાસ કામો ઝડપભેર પૂરા કરવા કરી રજૂઆત કરવામાં આવી હતી. હાલ CM ગાંધીનગર જવા રવાના થયા હતા આ સાથે 'આપ'ના આગેવાનો દ્વારા પણ CM પટેલ સાથે બેઠક કરવા માટે સમય માંગવામાં વાવ્યો હતો. પરંતુ CM પટેલ 'આપ'ના આગેવાનોને મળ્યા ન હતા.જેને પગલે 'આપ'ના આગેવાનો રોષે ભરાયા હતા અને કલેકટર કચેરીએ ધરણા પર બેસીને રોષ ઠાલવ્યો હતો
મુખ્યમંત્રીએ પક્ષની વધુ ચિંતા કરવા સલાહ આપી
આજે શહેરના હેમુગઢવી હોલ ખાતે સંસદ સભ્યો, MLA અને જિલ્લા ભાજપના કાર્યકરો સાથે CM પટેલની બેઠક થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ એવી સલાહ આપી હતી કે કોઇ આગેવાન, હોદ્દેદારો કે ચૂંટાયેલા લોકોએ આગામી ચૂંટણીમાં ટીકીટ પર ધ્યાન આપવાના બદલે ભાજપના વિજય પર જ ધ્યાન આપવાનું છે. પક્ષે જ આપણને સૌને મોટા કર્યા છે. ધારાસભાની ટીકીટને કોઇ પણને મળે, ભાજપના વિજયને નિશ્ચિત કરવાનો છે. રાજકોટ સહિત ગુજરાતમાં જે પરિણામો આવે તે સીધા દિલ્હી સુધી પહોંચે છે આથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશના વિકાસની યાત્રાને ધ્યાનમાં રાખીને સૌએ કામ કરવાનું છે. એકંદરે મુખ્યમંત્રીએ પક્ષની વધુ ચિંતા કરવા સલાહ આપી હતી.
ત્રણેય ઝોનના વિકાસ કામોની સમીક્ષા કરી
આ સાથે CM પટેલે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લીધી હતી. વિકાસના કામોની સમીક્ષા બેઠક કરી હતી. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 31 ટીપરવાન તથા બંધ બોડીના બે મોટા ટ્રકના કાફલાને ફ્લેગ આપી હતી. આ તકે પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.મનપા ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં CM પટેલે ત્રણેય ઝોનના વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પ્રગતિ હેઠળના કામોની માહિતી રજૂ કરી
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મ્યુ. કમિશનરે મનપા દ્વારા રાજકોટમાં પ્રગતિ હેઠળના કામોની માહિતી રજૂ કરી હતી. જેમાં રાજકોટમાં બની રહેલા પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને અટલ સરોવર, ડિજિટલ હાઇવે પ્રોજેક્ટ, રૈયાધાર અને જેટકો ચોકડી પાસેના વોટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ, વોટર રીસોર્સ, આવાસ યોજના, લાઈટ હાઉસ, અર્બન ફોરેસ્ટ, 4 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ, ઇલેક્ટ્રિક બસ, આવાસ યોજનાઓ, RMC ઓન વોટ્સએપ સર્વિસ, રામવનમાં આશરે 70 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર, રામનાથ મહાદેવ મંદિર વગેરેની કામગીરીની જાણકારી આપી હતી. આ ઉપરાંત પ્રોપર્ટી ટેકસની રેકોર્ડ બ્રેક કલેક્શનની માહિતી પણ રજૂ કરાઈ હતી.
200 રૂમના હોસ્ટેલ નિર્માણની જાહેરાત કરી હતી
આજે એરપોર્ટ પહોંચ્યા બાદ CM પટેલ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં રામપરા બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોના લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. CM પટેલે આ તકે 200 રૂમના હોસ્ટેલ નિર્માણની જાહેરાત કરી હતી.
29 લાભાર્થીઓને ગેસ સીલીન્ડરની ફાળવણી કરી
આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્વયે વિના મૂલ્યે વીજ કનેકશન્સ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યા છે.જ્યાં CM પટેલ દ્વારા 19 પ્લોટધારકોને સનદ ફાળવણી કરવામાં આવી હતી. આ સાથે ઉજ્જવલા 2.0 યોજના અંતર્ગત 29 લાભાર્થીઓને ગેસ સીલીન્ડરની ફાળવણી કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડૉ. પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટરનું ઈ-લોકાર્પણ કર્યું
આ તકે આટકોટ ખાતે પોલીસ માટે રૂ. 648.70 લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. 1443.60 લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. શુદ્ધ પાણી પૂરું પાડતા 650 આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.