ઇન્ડિયા ભલે ડિજિટલ બની રહ્યું હોય પરંતુ હજુ પણ ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને એક વર્ગ હજુ પણ સ્વીકારતો નથી. આવા સમયે કોઈ યુગલ જો આંતરજ્ઞાતિય લગ્ન કરવા ઈચ્છે તો તેમને સામાજિક બંધનો અને નાણાંભીડ બંનેનો સામનો કરવો પડે છે. આવા સમયે ગુજરાત સરકાર આ સંકુચિત માનસિકતાને નાબૂદ કરવા અને આંતરજ્ઞાતિયએ લગ્ન કરનારને આર્થિક બળ મળે એ હેતુથી એક અનોખી યોજના કાર્યરત છે.
54 જેટલા યુગલોએ લાભ લીધો
તેનું નામ છે 'ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના'. જેમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલને સરકાર તરફથી રૂપિયા 2.50 લાખની સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ 54 જેટલા યુગલોએ તેનો લાભ લીધો છે અને તેમના જીવનના નવા પડાવમાં આત્મવિશ્વાસ અને આર્થિક સહાયનો સુભગ સમન્વય સર્જાયો છે.
આ યુગલને મળી સહાય
આ 54 પૈકી રાજકોટના એક યુગલની વાત કરીએ તો ચિંતનભાઈ ગોહેલ અને નેન્સીબેન વાળા એકમેકના પ્રેમમાં હતા પરંતુ નેન્સીબેનના પરિવારજનોને આ પ્રેમસંબંધ મંજુર ન હતો. જયારે ચિંતનભાઈના પરિવાર દ્વારા બન્નેના લગ્ન માટે સહયોગ દર્શાવામાં આવ્યો હતો. જે બાદ યુગલે 6 માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. ચિંતનભાઈ હાલ RMCમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવે છે. જયારે નેન્સીબેન ગૃહસ્થી સંભાળે છે.
આ રીતે યોજનાની માહિતી મળી
આ યોજનો લાભ તેમને કઈ રીતે મળ્યો એ અંગે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં નેન્સીબેને જણાવ્યું હતું કે, અમારા પ્રેમલગ્ન થયા બાદ એક સંબંધી મારફત જાણવા મળ્યું હતું કે ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના કાર્યરત છે. જ્યાં સરકાર દ્વારા આંતર જ્ઞાતિએ લગ્ન કરનાર નવદંપતિને રૂ.2.50 લાખની સહાય ચૂકવવામાં આવે છે.
બે સેગમેન્ટમાં સહાય મળી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ અમે રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલા સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદ લીધી હતી અને આ યોજનાની માહિતી મેળવી જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્ર રજૂ કરી ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. જે બાદ અમને રૂ.2.50 લાખની સહાય બે સેગમેન્ટમાં ચૂકવવામાં આવી હતી.
1974થી યોજના કાર્યરત
ગુજરાત સરકારે વર્ષ 1974માં ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકી હતી. આ યોજના હેઠળ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રૂ.1 લાખ પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1.50 લાખનાં ઘરવપરાશના સાધનો ખરીદવા એમ કુલ રૂ.2.50 લાખની આર્થિક સહાય લાભાર્થીને આપવામાં આવે છે.
કઈ રીતે લાભ મળશે?
સરકારની આ યોજનાનું નામ છે ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. આ યોજનામાં લગ્નના એક વર્ષની અંદર સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં અરજી કરવાની રહે છે. જેમાં નિયમાનુસાર છોકરો કે છોકરી બંનેમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જતીની હોવી અનિવાર્ય છે.તેમના લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ.આ ઉપરાંત લગ્નની નોંધણી માટે એફિડેવિટ દાખલ કરી શકો છો. પ્રથમ વખત લગ્ન કરનાર દંપતીને જ યોજનાનો લાભ મળે છે.
45 લાખની આર્થિક સહાય ચૂકવાઈ
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં 2022 સુધીમાં 54 યુગલની અરજી મંજૂર થઈ હતી અને તેમને કુલ 45,50,000 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.