કોરોનાની બીજી ઘાતક લહેર પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. આ સાથે નજીકના દિવસોમાં તહેવાર આવતા હોવાથી વેપાર-ધંધાના સમયમાં વધારો કરી આપવાની માગ સાથે આજે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. રક્ષાબંધન-જન્માષ્ટમી સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવા સમયે પણ સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આથી રાજકોટના વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આજે અલગ અલગ વેપારી એસોસિયેશનના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્રને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
અત્યારે 9 વાગ્યે ધંધા-રોજગારો બંધ કરી દેવાનો નિયમ છે
બજારમાં રહેલા વેપારીઓએ પણ હાલના રાત્રિ કર્ફ્યૂને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે અત્યારે 9 વાગ્યે ધંધા-રોજગારો બંધ કરી દેવાનો નિયમ છે. જોકે આ નિયમ તહેવારોના દિવસોમાં તેમને નડી શકે છે. લોકો તહેવારો ઉપર ખરીદી કરવા માટે નીકળતા હોય છે. એક તો ધંધા પહેલાથી જ 50 ટકા ડાઉન છે એમાં પણ તહેવારોમાં થતા વેપારમાં રાત્રિ કર્ફ્યૂના કારણે તેમના ધંધામાં ગ્રાહકોમાં 25 ટકાથી વધુ ઘટાડો આવશે. રાત્રી કર્ફ્યૂના કારણે રાજકોટમાં આશરે 5000થી વધુ વેપારીઓને અસર થશે.
ગ્રાહકો એક કલાક પહેલા દુકાનમાં આવતા બંધ થઇ જાય છે
કાપડ બજારના વેપારીઓનું કહેવું છે કે, તહેવારોમાં લોકો જ્યારે પોતાના કામ ધંધામાંથી ફ્રી થઈ અને નવ વાગ્યા પછી ખરીદી કરવા નીકળતા હોય છે. જોકે, આ સમયે સરકારના નિયમ પ્રમાણે તેમને ધંધો બંધ કરી દેવો પડે છે. ધર્મેન્દ્ર રોડ ઉપરના વેપારીઓનું કહેવું હતું કે, દુકાન બંધ કરવાનો સમય 9 વાગ્યાનો હોય છે. જ્યારે તેમને વાઇન્ડપ કરતા એક કલાક કરતાં પણ વધુ સમય લાગે છે. આથી તેમને ગ્રાહકો તો આઠ વાગ્યાથી આવતા બંધ થતા દુકાન વહેલી બંધ કરવી પડે છે. સરકાર આમાં વધુ સમય આપે તેવી વેપારીઓએ પણ માગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.