કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન ઈલેક્ટ્રિસિટી એક્ટમાં સુધારો કરીને આગામી સંસદસત્રમાં કાયદો પણ પસાર કરવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. જેમાં સરકાર દેશભરની વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવા જઇ રહી છે. આ અંગે સંસદમાં બીલ પણ મુકાય તેવી શક્યતા છે. વીજ કંપનીઓના ખાનગીકરણ સામે આજે ગુજરાત સહિત દેશભરના 15 લાખ વીજ કર્મચારીઓ અને અધીકારીઓએ પ્રચંડ રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં જિલ્લા સર્કલ કચેરી સામે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓએ બપોરે ઉગ્ર દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
ખાનગીકરણ સામે વિરોધ વ્યક્ત કરાયો
રાજકોટમાં કોર્પોરેટ કચેરી સામે ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત ગુજરાતની તમામ સર્કલ-જિલ્લા કચેરી સામે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2021ના વિરોધમાં પીજીવીસીએલ ઉપરાંત ગુજરાતની ચારેય વીજ કંપનીઓની સર્કલ કચેરી ખાતે દેખાવો કરાયા હતા, રાજકોટ ઉપરાંત જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા ખાતે દેખાવો કરી વિરોધ વ્યકત કરાયો હતો.
તમામ વિભાગોને ખાનગીકરણ તરફ લઇ જવાની માંગ
ઉલ્લેખનીય છે કે આ બીલથી વીજ ક્ષેત્રને જનરેશન, ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન વગેરે તમામ વિભાગોને ખાનગીકરણ તરફ લઇ જવાની માંગ છે. આજે દેશભરમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું જો કે ગઇકાલે ઉર્જામંત્રી શ્રીસિંધે હજુ બીલ નથી મુકાયું તેવું નિવેદન આપતા આજની દેશભરમાં હડતાલ મુલત્વી રખાઇ હતી. અને બપોરે વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખાનગીકરણના લીધે થનાર નકારાત્મક અસરો
વીજ કંપનીઓના ખાનગીકરણનાં લીધે સરકારની માલિકી અને હક જતા રહેશે. ગ્રાહકોને લગતી તમામ સુવિધાઓ અને સેવાઓનાં ચાર્જ લાગવાના શરૂ થશે. શહેરના નાના, મધ્યમ, લઘુ ઉદ્યોગ અને ગરીબી રેખા નીચે જીવતા વીજ ગ્રાહકોને સબસિડી બંધ થવાથી વીજ બિલોની રકમમાં વધારો થશે તેવું વીજકર્મીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.