છેલ્લા કેટલાક સમયથી શહેરમાં હૃદયરોગના હુમલાને કારણે મોત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો આ મામલે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. અને હૃદયરોગનું ઝડપી નિદાન થાય તે માટે શહેરનાં 23 આરોગ્ય કેન્દ્રોમાં ECG મશીન મૂકવામાં આવ્યા છે. શહેરના તમામ વોર્ડનાં આરોગ્ય કેન્દ્રોમાં મશીન મુકવામાં આવતા કોઈપણ વ્યક્તિને છાતીમાં દુ:ખાવાની પીડાં થતા તે મિનિટોમાં આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને નિદાન કરાવી શકશે. અને ઝડપથી નિદાન અને સમયસર સારવાર થતા અનેકનો જીવ બચાવી શકાશે. એટલું જ નહીં અન્ય વિવિધ જરૂરી ટેસ્ટ તદ્દન ફ્રી કરવા માટે પણ આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હૃદયરોગના કેસ વધી રહ્યા
આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વકાણીનાં જણાવ્યા મુજબ,હૃદયરોગના નિદાન માટે મહત્વના ગણાતા ઈલેક્ટ્રોકાર્ડિયોગામ (ઈસીજી) મશીનો મંગાવવા માટે માટે છેલ્લા ઘણા સમયથી મનપાએ વિચારણા હાથ ધરી હતી પણ મશીનના ટેન્ડર માટે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. બાદમાં ટેન્ડરમાં ફેરફાર કરવામા આવ્યા હતા. અને હાલ હૃદયરોગના કેસ વધી રહ્યા છે.
હૃદયરોગના લક્ષણો જાણી શકાશે
વધુમાં જણાવ્યું હતું કે, જેથી મશીનની ડિલિવરી આવી જતા મનપા હસ્તકના 23 આરોગ્ય કેન્દ્રોમાં ECG મશીન મુકવામાં આવી ચુક્યા છે. જેને લઈને નજીકનાં વિસ્તારોમાં કોઇ વ્યક્તિને હૃદયરોગના લક્ષણો જણાય તો તેઓ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ વિનામૂલ્યે તપાસ કરાવી શકશે. જયાં તબીબ નિદાન કરીને પ્રાથમિક સારવાર આપી શકશે. સમયસર નિદાનને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાશે.
અદ્યતન મશીન વડે સચોટ નિદાન થશે
વધુમાં ડો. જયેશ વકાણીએ જણાવ્યુ હતું કે, આરોગ્ય કર્મચારીઓ સગર્ભાઓના ઘરે જાય છે અને તેમના બ્લડ સેમ્પલ લઈને ચેક કરે છે. તેને બદલે હવે નવા પોર્ટેબલ મશીન આવ્યા છે જે બ્લડ સુગર માપવાના મશીન જેવા જ હશે અને તે રીતે જ કામ કરશે. આ અદ્યતન મશીન વડે સચોટ નિદાન થશે. આ તમામ ટેસ્ટ પૈકી અમુક ટેસ્ટ ખાનગી લેબમાં 100 રૂપિયામાં થાય જ્યારે ડીડાઈમર સહિતના ટેસ્ટનો ચાર્જ 700થી 1000 રૂપિયા જેટલો થાય છે. જોકે આરોગ્ય કેન્દ્રોમાં આ તમામ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવતા લોકોને મોટી રાહત મળશે. આ ટેસ્ટ કરવા માટે લેબ ટેક સહિતનો સ્ટાફ મનપામાં પહેલાથી જ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
કેમિકલ એનેલાઈઝર મૂકાશે
ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીમાં આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રકારના રીપોર્ટ કરવા માટે મશીનો ખરીદ કરવા 2 કરોડના ખર્ચને મંજૂરી મળી છે. અગાઉ કેન્દ્રોમાં બ્લડ રીપોર્ટ કરવા માટે સુવિધા હતી. પણ હવે તમામ સેન્ટર પર નવા મશીનો આવતા સીબીસી, હિમોગ્લોબીન સહિતના રીપોર્ટ વધુ ચોક્કસાઈથી થશે. સાથે જ શહેરનાં છ મોટા આરોગ્ય કેન્દ્રો પર કેમિકલ એનેલાઈઝર મૂકાશે. જેને કારણે લોકોને ખાનગી લેબોરેટરીમાં મસમોટા ખર્ચમાંથી મુક્તિ મળશે. કેમિકલ એનેલાઈઝરમાં અત્યાર સુધી ન થતા તમામ 23 રીપોર્ટ આરોગ્ય કેન્દ્રોમાં થતા કોલેસ્ટ્રોલ, સીઆરપી, ડીડાઈમર, ક્રિએટીનીન સહિત વિવિધ પ્રકારના રિપોર્ટ દ્વારા દર્દીની સમસ્યાનું ઝડપી નિદાન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.