ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. એક સમયે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પણ વહેતી થઈ હતી. ત્યારે આજે ખોડલધામમાં અમદાવાદના ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત ચાર MLA નરેશ પટેલને મળ્યા હતા. આથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
શુભેચ્છા મુલાકાત હોવાની વાત
અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા સાથે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ પણ હતા. આ ચારેય ધારાસભ્ય ખોડલધામમાં ખોડિયાર માતાજીના દર્શને આવ્યા હતા. ત્યારે ખોડલધામથી નીકળતી વખતે નરેશ પટેલ સાથ મુલાકાત થઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ એક શુભેચ્છા મુલાકાત હોવાની પણ વાત બહાર આવી છે. આ ચારેય નેતાઓએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવ્યા બાદ નરેશ પટેલ સાથે મુલાકાત કર્યાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
27 એપ્રિલે ખોડલધામમાં પાટીદારો સાથે બેઠક યોજાઈ હતી
રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં 27 એપ્રિલે અલગ અલગ ચાર બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી અને બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઈ હતી. આ સમયે નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું, રાજકારણમાં જોડાવ? ત્યારે ખોડલધામના ગુજરાતના કન્વીનરો એક સૂર સાથે બોલ્યા હતા કે હા... તમારે રાજકારણમાં આવવું જોઈએ.
નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં તાલુકાના સક્રિય કન્વીનરોની બેઠક મળશે, જેમાં પણ નરેશ પટેલ રાજકીય પ્રવેશ અંગે કન્વીનરોનાં મંતવ્યો જાણશે.
સરવે પૂર્ણ થવા પર સૌની નજર
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સરવે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.