ઉનાળો શરૂ થતાં જ રાજકોટ શહેરમાં ભૂગર્ભ જળ ખૂટી ગયા છે. આ કારણે લોકોને પીવાના પાણી માટે મનપા પાસે માંગ કરતા ટેન્કર શરૂ કરાયા છે. શરૂઆતમાં જ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 400 ટેન્કર દોડી રહ્યા છે જે સંખ્યા આગામી સમયમાં વધશે.શહેરમાં નવા ભળેલા વિસ્તારો કે જ્યાં સુધી હજુ મનપાની પાણી લાઈન પહોંચી નથી ત્યાંના રહેવાસીઓ ખાસ કરી ફ્લેટ અને આવાસ યોજનાઓમાં રહેતા લોકો ભૂગર્ભ જળ પર જ નિર્ભર હોય છે. ઉનાળામાં આ જળ ખૂટી જતા મહાનગરપાલિકા પાસે ટેન્કરની માંગ કરવામાં આવે છે.
જેને લઈને હાલ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં નવા ભળેલા વિસ્તારોના એપાર્ટમેન્ટ અને આવાસ યોજનાઓમાં 400 ટેન્કર ચાલી રહ્યા છે. અમુક વિસ્તારોમાં એકાંતરા પાણીના ટેન્કર આપવામાં આવે છે. ઈજનેરોના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોને મનપામાં ભળ્યાને હજુ 3 વર્ષ થયા છે અને આ પહેલા 7 વર્ષ અગાઉ ભળેલા ગામોમાં પણ ડી.આઈ. લાઈન કે જે ખૂબ જ ખર્ચાળ છે તે પહોંચી રહી છે. જ્યાં જ્યાં હાલ લાઈન બિછાવવાનું કામ ચાલુ છે ત્યાં મેઈન લાઈન બાદ નેટવર્ક ઊભું કરાશે અને બાદમાં જ કનેક્શન આપી શકાશે. આ કારણે માધાપર, મોટામવા, મુંજકા, મનહરપુર જેવા નવા ભળેલા વિસ્તારો ઉપરાંત કોઠારિયા વાવડીમાં નળ કનેક્શન પહોંચતા હજુ બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.