રાજકોટ જિલ્લાની 35 ગૌશાળાના સંચાલકો અને ગૌભક્તો આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 500 કરોડની સહાય આપવાની માગ સાથે ગાયો સાથે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેતા સંચાલકોએ બહાર જમીન પર બેસી રામધૂન બોલાવી હતી. તેમજ માગ નહીં સંતોષાય તો ગાયોને રસ્તા પર છોડી દઇશુંની ચિમકી ઉચ્ચારી હતી.
સહાય નહી આપો તો ગાયોને રસ્તા પર છોડી મુકીશું
કલેક્ટર કચેરીએ ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, આજે અમે નહીં ગાયો રજૂઆત કરવા આવી પહોંચી છે. સહાય આપવામાં નહીં આવે તો તમામ ગૌશાળાની 62,700 ગાયોને રોડ-રસ્તાઓ પર છોડી મૂકવામાં આવશે. કલેક્ટર કચેરીએ ગૌભક્તો રજૂઆત કરવા આવતા જ ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગૌભક્તો કલેક્ટર કચેરીએ પહોંચતા જ તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. આથી ગૌભક્તોએ કલેક્ટર કચેરી બહાર જમીન પર બેસી રામધૂન બોલાવી હતી.
ગૌભક્તોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી
કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની તમામ ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો અને ગૌભક્તોની વિનંતી છે કે, ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડની સહાયની જોગવાઈ કરવા છતાં આજ દિવસ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી. ગુજરાતની તમામ ગૌશાળ, પાંજરાપોળની હાલત ઘણી દયનીય છે. સંસ્થાઓમાં ગૌવંશ નિભાવ ઘણો જ મુશ્કેલ બન્યો છે. ના છૂટકે ગૌ વંશ સરકારના હવાલે કરવાની ફરજ પડશે. આથી સરકાર તરફથી યોજનાની અમલવારી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.