રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્કમાં પતિએ ગળેફાંસો ખાતા પત્નીએ એસિડ પી લીધું હતું. જોકે આ બનાવમાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં દોઢ વર્ષના પુત્રને સાચવવા મામલે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બન્નેએ આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
બંનેને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા
ગઇકાલે રાત્રે રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્ક-2માં રહેતા જયદીપભાઈ બચુભાઈ બોરીચા (ઉં.વ.29)અને તેમના પત્ની જયશ્રીબેન (ઉં.વ.26)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતા. અહીં ઇમરજન્સી વોર્ડના તબીબોએ તપાસતા જયદીપને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જયશ્રીને સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.
સાડા ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા
આજી ડેમ પોલીસે બનાવ અંગે પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાડા ત્રણ વર્ષ પહેલા જયદીપ અને જયશ્રીએ લગ્ન કર્યા હતા. હાલ તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. જયદીપ રિક્ષા ચલાવતો હતો. ગઇકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જયદીપ ધંધો કરી ઘરે આવ્યો હતો. દોઢ વર્ષનું બાળક હોય તેને સાચવવાનું હોય અને સાથે ઘરનું કામ પણ કરવાનું હોય ધંધેથી પરત આવેલા પતિને બાળક સાચવવા માટે જયશ્રીએ કહ્યું હતું.
પતિએ ઉપરના રૂમમાં જઇ ગળેફાંસો ખાઇ લીધો
જોકે, આ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. વાત વાતમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી જયદીપ ઉશ્કેરાઇને ઘરના ઉપરના માળે દોડી ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી અંદર ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની ઉપરના રૂમમાં જોવા જતા પતિને લટકતી હાલતમાં જોઇ તેણે પણ બાથરૂમમાંથી એસિડની બોટલ લઇ ગટગટાવી લીધી હતી. પરિવારના સભ્યો અને આસપાસના લોકોને જાણ થતા જયદીપને ગળેફાંસો ખાધેલી હાલત નીચે ઉતાર્યો હતો. બાદમાં પતિ-પત્નીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ અહીં જયદીપને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
જયદીપના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો
આજીડેમ પોલીસે જરુરી કાગળ કાર્યવાહી કરી જયદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે પત્ની જયશ્રી હજુ બેભાન હોય તે ભાનમાં આવ્યા બાદ પોલીસ તેમનું નિવેદન નોંધશે.
ઢાંઢણી ગામે માતાએ ઠપકો આપતા સગીરાનો આપઘાત
રાજકોટના ઢાંઢણી ગામે રહેતી 15 વર્ષની સગીરાએ ગઇકાલે બપોરે તેના માતા-પિતા મંદિરે દર્શન કરવા ગયા હતા અને તેના નાના ભાઈ-બહેન સાથે ઘરે હતી. ત્યારે ન્હાવા માટે જવાનું કહી રૂમમાં જઇ રૂમ અંદરથી બંધ કરી પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા-પિતા પરત ઘરે આવ્યા ત્યારે દરવાજો ખોલતી ન હોવાથી તોડીને જોતા પુત્રીનો લટકતો મૃતદેહ જોયો હતો. મૃતક સગીરા એક ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતી, તેના પિતા પાનની દુકાન ચલાવે છે. ગઈકાલે સગીરા કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો કરતી હોય માતાએ ઠપકો આપ્યો હતો. આથી લાગી આવતા આ પગલું ભરી લીધાનું આજીડેમ પોલીસની તપાસમાં ખુલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.