સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીના 1થી 6 સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા હવે દર વર્ષે લેવાના બદલે વર્ષમાં બે વખત લેવાની વિચારણા યુનિવર્સિટી તંત્ર કરી રહ્યું છે. યુનિવર્સિટી અત્યાર સુધીમાં એક સેમેસ્ટર દરમિયાન 1, 3 અને 5 અથવા 2,4 અને 6 સેમેસ્ટરની જ પરીક્ષા લઇ રહ્યું હતું. જેથી કોઈ વિદ્યાર્થીને એક સેમેસ્ટરમાં એટીકેટી કે ફેલ થાય તો તે જ સેમેસ્ટરની પરીક્ષા વિદ્યાર્થી એક વર્ષ બાદ આપી શક્તો હતો પરંતુ હવે યુનિવર્સિટી સેમેસ્ટર 1થી 6ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા વિચારણા કરી રહ્યું છે જેથી વિદ્યાર્થી પોતાનું સેમેસ્ટર પૂર્ણ થાય અને બીજું શરૂ થાય તે દરમિયાન જ એટીકેટી કે ફેલ થયેલા વિષયની પરીક્ષા આપી શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભીમાણીએ જણાવ્યું હતું કે, સેમેસ્ટર 1થી 6ની પરીક્ષા જે હાલ વર્ષમાં એક જ વખત લઇ રહ્યા છીએ તે હવે બે વખત લેવાની બાબત વિચારણા હેઠળ છે. પરીક્ષા વિભાગ સાથે પરામર્શ કરીને આ અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રથમ સેમેસ્ટરમાં ફેલ થયો હોય તે વિદ્યાર્થીને છેક બીજા વર્ષે જ્યારે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવાય ત્યારે તે પરીક્ષા આપી શક્તો હતો પરંતુ હવે એક સેમેસ્ટર પૂર્ણ થાય અને બીજું શરૂ થાય ત્યારે બીજા સેમેસ્ટરની સાથે જ પ્રથમ સેમેસ્ટરની પણ પરીક્ષા આપી શકશે. આગામી દિવસોમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે.
સૌ. યુનિ.માં 10% રાજ્યની અને 5% અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે સીટ ખાલી રખાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના યુજીના તમામ કોર્સના પરિણામ જાહેર થઇ જતા પીજી માટે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવા ફોર્મ ભરી રહ્યા છે, પરંતુ રાજ્યની અન્ય યુનિવર્સિટીના યુજીના પરિણામ હજુ જાહેર થયા ન હોય બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થી પણ પીજીમાં પ્રવેશથી વંચિત ન રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 10% અને રાજ્ય બહારની એટલે કે દેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 5% સીટ ખાલી રાખવાનો નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.