રાજકોટ શહેર છેલ્લા બે અઠવાડિયાથી કોરોનામુક્ત બન્યું છે. કેસ પણ શૂન્ય અને એક્ટિવ કેસ પણ શૂન્ય. શહેરમાં ત્રણેય લહેર પૂર્મ થયા સુધીમાં કુલ કેસની સંખ્યા 63690 થઇ છે. હાલ એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગ પણ રાહત અનુભવી રહ્યું છે. આકરી ગરમીને કારણે સીઝનલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ કોરોનાનો ડર લોકોના મનમાંથી નીકળી ગયો છે.
ગત અઠવાડિયે શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા હતા
રાજકોટમાં સીઝનલ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. સીઝનલ રોગચાળાની વાત કરીએ તો ગત અઠવાડિયા મનપાના ચોપડે ઝાડા–ઉલ્ટીના 147 અને શરદી-ઉધરસના 236 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા હતા. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 8, મેલેરિયાનો 3 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. રાજકોટ મચ્છરનું પ્રમાણ વધારે હોવા છતાં મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ છે.
13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી હતી
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 13,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી હતી અને 603 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
મચ્છરના બ્રિડિંગ મળશે તો નોટિસ ફટકારાશે
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.