ઉત્તરાયણનાં દિવસે લોકો એક બીજાનાં પતંગો કાપી ચીચયારી બોલાવતા હોય છે. તો સાથો સાથ યુવાધન એક બીજાનાં પતંગ કાપવા માટે શક્ય તેટલી મજબુત દોરી બનાવડાવતા હોય છે. તેવામાં આ મજા અબોલ જીવ માટે સજા બની જતી હોય છે. અબોલ જીવને બચાવવા માટે રાજકોટમાં કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે અનેક પક્ષીઓ ઘવાયા હતા. તેમને કરુણા અભિયાન અંતર્ગત સારવાર આપવામાં આવી હતી.આ ઉપરાંત રાજકોટની પંચનાથ વેટરનિટી હોસ્પિટલમાં પણ 16 જેટલા ઘાયલ પક્ષીઓની સર્વર કરવામાં આવી હતી.
જિલ્લામાં 26 કંટ્રોલ રૂમ કાર્યરત
આ અંગે કરુણા અભિયાનના મિત્તલ ખેતાણીએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં 26 કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ઘવાયેલા પક્ષીઓની જરૂરી અદ્યતન સારવાર જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરાશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પક્ષીઓની સારવાર માટે જિલ્લાના 20થી વધુ પશુ દવાખાનાઓમાં 30થી વધુ વેટરનરી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. તેમજ ઘાયલ પક્ષીઓને 5 જેટલી કરુણા એમ્બ્યુલન્સ, મહાનગરપાલિકા, પશુપાલન વિભાગના વાહનો દ્વારા પશુ દવાખાના સુધી લઇ જવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ નંબર પર સંપર્ક કરવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કરૂણા અભિયાન અંતર્ગત તાતકલિક સારવાર મળી રહે તે માટે કંટ્રોલરૂમ શરૂ રહેશે. તાત્કાલીક સારવાર રેસ્કયુ માટે કરૂણા એમ્બ્યુલન્સ-1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નં. 0281-2471573 ટોલ ફી નં. 1077 પર સંપર્ક કરી શકાશે
વોટસ્એપ પર પણ જાણ કરી શકો છો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સેવાભાવી સ્વયંસેવકો 'કરૂણા અભિયાન' માં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસ્એપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે.એ માટે વોટસ્એપ નંબર 82000 10000 નંબર 'Karuna' મેસેજ લખી https://bit.ly/karunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
95 ટકા પક્ષીઓને બચાવ્યાનો દાવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષે લગભગ 95 ટકા પક્ષીઓને કરુણા અભિયાન દ્વારા બચાવ્યા છે. ખાસ તો આ વર્ષે લોકો લોકોને ચાઈનીઝ દોરી ખરીદવાનું ટાળે અને કોઈ વેંચાણ કરતું હોય તો પોલીસને જાણ કરો તેવી મારી અપીલ છે. શહેરમાં ત્રિકોણબાગ, કિસાનપરા, પેડક રોડ, તેમજ કોઠારીયા રોડ સહિત 15 સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત છે.
વીજફોલ્ટ નિવારવા પણ ફરિયાદ થઇ શકશે
આ ઉપરાંત વીજફોલ્ટ નિવારવા પીજીવીસીએલે પણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. પતંગની દોરી વીજવાયરોમાં ફસાવાથી વીજફોલ્ટ સર્જાય તો તેને તાત્કાલિક દૂર કરી વીજપુરવઠો કાર્યરત કરવા માટે પીજીવીસીએલની ટીમ પણ સજ્જ થઇ ગઈ છે. વીજ સમસ્યા સર્જાય તો તે અંગે જાણ કરવા તથા ફરિયાદ કરવા માટે પીજીવીસીએલ દ્વારા શહેરીજનોને ટોલ ફ્રી નંબર 19122 અથવા તો 1800233155333 ઉપર જાણ કરવા જણાવ્યું છે.
રાજકોટને મળી પશુ એમ્બ્યુલન્સ
નોંધનીય છે કે આજે જયંતિલાલ લક્ષ્મીચંદ શાહ સ્થાપિત જીવદયા ઘર પાંજરાપોળ દ્વારા અબોલ પશુઓની સારવાર માટે ઊપયોગમાં લેનાર નવી પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રૂ.500 કરોડની જોગવાઈ કરીને અબોલ જીવો માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, તેમજ પશુ દીઠ રોજના રૂ.30ની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે.આ તકે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.