રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતના બનાવમાં સાધુવાસવાણી રોડ પર આવેલા ન્યૂ અંબિકા પાર્ક-8માં રહેતા અનિલભારતી વિદુરભારતી ગોસાઇ નામના યુવાને ગઇકાલે રાતે તેના ઘરે પંખાના હૂકમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ સમયે બહારથી આવેલી અનિલભારતીની પત્ની ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોયા હતા. જેથી બૂમાબૂમ કરી મૂકતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને તુરંત અનિલભારતીને બેભાન હાલતમાં નીચે ઉતારી 108ને જાણ કરી હતી.
જોકે, અનિલભારતીને સારવાર મળે તે પહેલા જ 108ની ટીમે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતકના ભાઇએ પોલીસને જણાવેલી વિગત મુજબ, અનિલભારતી બાલાજી ઓટો કન્સલ્ટન્ટના નામથી કાર લે-વેચનું કામકાજ કરતા હતા.
દરમિયાન થોડા દિવસોથી અનિલભારતીને રૂપિયાની માગણી કરી ધમકી આપતા હોવાના ફોન આવતા હોય તે ચિંતિત રહ્યા કરતા હતા. અને અંતે ભાઇએ અંતિમ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. બનાવથી બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.