તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ ટર્મથી કોર્પોરેટર પદ ભોગવતા અને 60 વર્ષથી વધુ વયના દાવેદારોને મહાનગરપાલિકાની ટિકિટ નહીં મળે તેવી પ્રદેશ ભાજપની જાહેરાત બાદ કોને ટિકિટ મળશે અને કોણ કપાશે, કેટલા નવા ચહેરા હશે તેવી અનેક અટકળો વચ્ચે રાજકોટમાં ભાજપ 19 જ્ઞાતિને ટિકિટ આપશે અને ગત ચૂંટણીમાં બે મુસ્લિમ મહિલાને ટિકિટ આપનાર ભાજપ આ વખતે એક પણ મુસ્લિમને ટિકિટ નહીં આપે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં દરેક વોર્ડના દાવેદારોના નામ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ટિકિટ આપવાની નવી નીતિને કારણે મોટામાથાઓ આપમેળે કપાઇ જતાં તેમની જગ્યાએ નવા ચહેરાને તક આપવામાં આવશે. શહેર ભાજપની જાહેર થનારી યાદીમાં 25થી વધુ નવા ચહેરા જોવા મળશે. સામાન્ય રીતે દરેક ઉમેદવારના નામ સાથેનું મેન્ડેટ પ્રદેશ કાર્યાલયથી આવતું હોય છે, પરંતુ આ વખતેકોરા મેન્ડેટ આવશે અને તેમાં નક્કી થયેલા દાવેદારનું ઉમેદવાર તરીકે નામ લખી તેનું ફોર્મ ભરવામાં આવશે. મંગળવારે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટના 12 ઉમેદવાર નક્કી કરી નાખવામાં આવ્યા હતા.
ભાજપે પોતાની પરંપરા મુજબ અક્કડ નીતિ યથાવત રાખી છે. ચોંકાવી દેવાની થિયરીને પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાયમ રાખી છે. મંગળવારે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ રાજકોટ પરત ફરેલા સ્થાનિક નેતાઓના ચહેરા પર અસમંજસ અને ઊંડે-ઊંડે કચવાટ પણ દેખાતો હતો. બીજી તરફ ચોક્કસ જૂથમાં એક ખુશી અને પોતાનું પ્રભુત્વ રહ્યાનો ભાવ પણ જણાય આવતો હતો.
રાજકોટ ભાજપના નેતાઓ 16-16 નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોને સોંપીને પરત થયા, નામો અંગે ભારે સસ્પેન્સ
ટિકિટ કન્ફર્મ, જેમણે સેન્સ નહોતી આપી તેવા 7 વ્યક્તિના રાતોરાત ડેટા મગાવી ટિકિટ માટે દાવેદાર બનાવાયા
ભાજપે સેન્સ પ્રક્રિયા ચાર ઝોનમાં રાખી હતી, શહેરના તમામ 18 વોર્ડમાંથી ભાજપના વર્તમાન કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો અને કાર્યકરોએ સેન્સ આપી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે જ આગેવાનોએ ચર્ચા કરીને ટિકિટ માટેની નવી નીતિ જાહેર કરી દીધી હતી. જેમાં અનેક કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો કપાઇ ગયા હતા. તેમના વોર્ડમાં ખાલી પડેલી જગ્યા પર કોણ મજબૂત ઉમેદવાર બની શકે તે નામ નક્કી કરવા માટે થોડીવાર માટે શહેરના આગેવાનોને પસીનો વળી ગયો હતો, અને સોમવારે શહેરના જુદા જુદા વોર્ડના સાત વ્યક્તિ કે જેમણે સેન્સ આપી નહોતી તેમની પાસેથી ડેટા મગાવવામાં આવ્યો હતો અને ચૂંટણી લડવા તૈયાર રહેવા પણ ઇશારો કરી દેવાયો હતો.
સ્થાનિક નેતાઓના મોઢા પર ‘ટેપ’ લાગી ગઇ
દાવેદારોના નામની યાદી સાથે શહેર ભાજપના પ્રમુખ, ત્રણ મહામંત્રી અને ચારેય ધારાસભ્ય ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં ટિકિટ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ આવ્યા બાદ એકપણ આગેવાન એકપણ ઉમેદવાર કે દાવેદારનું નામ બોલવા તૈયાર નહોતા, તમામે મૌન સેવી લીધું.
અમુક નેતા ‘ખાસ’ને ટિકિટ અપાવવા મહેનતે લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ ટર્મથી કોર્પોરેટર પદ ભોગવતા દાવેદારોને ટિકિટ નહીં આપવાનું નક્કી થતાં જ કપાયેલા કોર્પોરેટર પોતાની સીટ પર પોતાનો ‘ખાસ’ વ્યક્તિ કે તેના પરિવારની વ્યક્તિ આવે તે માટે ભરતગૂંથણમાં લાગી ગયા હતા, કેટલાક કોર્પોરેટર આ નવી નીતિથી સમસમી ગયા છે.
રાજકીય પક્ષોએ એક જ વોર્ડમાંથી 15થી 20 ફોર્મ ઉપાડવાનું શરૂ કર્યું
વોર્ડ નં. 10, 11 અને 12માં એક જ દિવસમાં 130 ફોર્મ ઉપડ્યા છે જેમાંથી મોટાભાગના ફોર્મ ભાજપ, કોંગ્રેસના લેટર પેડ પરથી લેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ઉપડ્યા છે. વોર્ડ નં. 16થી 18માં બે દિવસમાં 160 કરતા વધુ ફોર્મ ઉપડી ચૂક્યા છે. એક ઉમેદવાર 4 જગ્યાએ ફોર્મ ભરી શકે છે તેથી ઉમેદવાર દીઠ ચાર-ચાર ફોર્મ પણ લેવાયા છે. જોકે હજુ સુધી એકપણ ફોર્મ ભરીને પરત આવ્યા નથી.
આચારસંહિતાના અમલની તપાસ માટે વોર્ડ દીઠ ટીમ મુકાઈ
આચારસંહિતાની અમલવારી યોગ્ય રીતે થાય છે કે કેમ તે માટે ખાસ ટીમની રચના કરાઈ છે. દરેક વોર્ડમા એક વર્ગ-1 અથવા 2ના અધિકારી અને તેના સહાયક તરીકે એક કર્મચારીને મુકાયા છે. ત્રણ વોર્ડ દીઠ એક ટીમ લીડરની નિમણૂક કરવામાં આવી છે. આચારસંહિતાના ભંગના કિસ્સામાં આ ટીમ આર.ઓ.ને જાણ કરશે અને ત્યારબાદ ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર પગલાં લેવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.