રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે તેથી તેના રિપેરિંગ માટે તા. 8મીએ વોર્ડ નં. 13માં ગુરૂકુળથી ગોંડલ રોડ હેડવર્કસના તમામ વિસ્તારો તેમજ બીજા દિવસે ગુરૂકુળ ઢેબર રોડ હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 7, 14, 17 તેમજ વાવડી હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 11 અને 12ના વિસ્તારોમાં પાણીકાપ રહેશે તેવું મનપાએ જાહેર કર્યું છે.
લાઈન લિકેજના કારણમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે લાઈન 30 વર્ષ જૂની છે અને તળિયાના ભાગે કટાઈ જવાથી લિક થઈ હશે. લિકેજ તો જૂનું હશે પણ પાણી સપાટી પર આવ્યું અને રોડની બાજુમાં જ વહેણ ચાલુ થયા તો મનપાને ખ્યાલ આવ્યો હતો. દરરોજ આશરે 7 લાખ લિટર પાણી વહી જવાથી કુલ 50 લાખ લિટરનો બગાડ થયાનો અંદાજ છે. આ લાઈન રિપેર કરવા સૌથી પહેલા મુખ્ય લાઈન બંધ કરી જ્યાંથી પાણી નીકળ્યું છે તે ખાડામાંથી પાણી બહાર કાઢવું પડશે.
લાઈન 1 મીટર ઊંડે છે તેથી 2.5 જેટલું ખોદીને લાઈનના તળિયામાં વેલ્ડિંગ કરાશે જે કામ 12 કલાક જેવું ચાલશે. પાણીકાપ સિવાય વિકલ્પ શા માટે નથી તે માટે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાદર ડેમમાંથી રોજ 4 કરોડ લિટર પાણી આવે છે અને તે પણ ઘટે છે અને તેટલો જથ્થો બીજે ક્યાંયથી મનપા ઉપાડીને પહોંચાડી શકે તેમ નથી આ કારણે પાણીકાપ લાદવો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.