કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થયા બાદ ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અનલોક બાદ સરકાર દ્વારા ધીમે ધીમે ધંધા-રોજગર છૂટ આપી અને બજારો ખોલી દેવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હજુ પણ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે. આ માટે રાજકોટની મુખ્ય ત્રણ બજાર જ્યુબેલીબાગ, પરાબજાર અને ધર્મેન્દ્ર રોડ પર જઇ Divya Bhaskar દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, 50 ટકાથી વધારે વેપારીઓ પ્રોપર માસ્ક પહેરેલા જોવા મળ્યા નહોતો. ઉપરાંત બજારમાં અંદર ખરીદી માટે આવેલા લોકો પૈકી 15% લોકો પ્રોપર માસ્ક ન પહેર્યું હોવાનું જોવા મળ્યું હતું.
આજે રાજકોટ Divya Bhaskarની ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં જઇ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને તેમાં લોકો સ્વયંભૂ કોરોનાની બીજી ઘાતક લહેરને ભૂલી ત્રીજી લહેરને સ્પષ્ટ આમંત્રણ આપતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની મુખ્ય ત્રણ આ બજારોમાં રોજ-બરોજ 10થી 15 હજાર જેટલા લોકોની અવર-જવર રહેતી હોય છે.
12 વાગ્યે જ્યૂબેલીબાગ ખાતે પહોંચી સર્વે કર્યો
આજે સવારે 12 વાગ્યે Divya Bhaskarની ટીમ શહેરના જ્યૂબેલીબાગ રોડ પર શાકભાજી માર્કેટ અને મુખ્ય બજાર માર્ગ પર પહોંચી હતી. અહીં 15થી 20 મિનીટ રોકાયા બાદ સર્વે કર્યો હતો. અહીં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બજાર અને મુખ્ય માર્ગ પર પ્રવેશતા નજરે પડ્યું હતું કે મોટાભાગે શાકભાજી અને ફ્રૂટની લારીવાળા ફેરિયાઓએ પોતાના ચહેરા પર પ્રોપર માસ્ક લગાવ્યા ન હતા અને ગ્રાહકોને શાકભાજી તેમજ ફ્રૂટ વહેંચતા હતા. તો આ સાથે 10થી 15% લોકોએ પણ ચહેરા પર પ્રોપર માસ્ક પહેર્યા ન હતા.
12.30 વાગ્યે પરાબજાર પહોંચી સર્વે કર્યો
આ બાદ Divya bhaskarની ટીમ પરાબજારમાં પહોંચી હતી. 12.30 વાગ્યે બજારમાં પહોંચી સર્વે કર્યો હતો. જેમાં દુકાનમાં બેઠેલા મોટાભાગના એટલે કે 80% વેપારીઓએ પ્રોપર માસ્ક પહેર્યા ન હતા. કોઈએ સાવ માસ્ક નહોતા પહેર્યા તો કોઈએ દાઢીથી નીચે માસ્ક લગાવી રાખ્યા હતા. એટલે એ વાત સ્પષ્ટ છે કે લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર બંધ હતા. આ સમયે ધંધા શરૂ કરવા સરકાર પાસે વારંવાર માંગ કરવામાં આવી આમ છતાં આજે સરકારે છૂટ આપ્યા બાદ પણ વેપારીઓ ગાઈડલાઈનનું પાલન ન કરી ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ આપી રહ્યાં છે.
1.30 વાગ્યે ધર્મેન્દ્ર રોડ પર પહોંચી સર્વે કર્યો
ત્યારબાદ ત્રીજી મુખ્ય બજાર એટલે કે ધર્મેન્દ્ર રોડ બજારમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. 1.30 વાગ્યે અહીં પણ મોટા ભાગના વેપારીઓ ચહેરા પર પ્રોપર માસ્ક લગાવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આ એ બજાર છે કે જ્યાં નાના બાળકોથી લઇ યુવાનો અને વૃદ્ધ સુધીના સૌ કોઇ આ બજારમાં અવર-જવર કરતા હોય છે. તેમ છતાં આ જ બજારમાં લોકો નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.