કોરોનાના વધતા કેસ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ તો કેન્સલ રહ્યો પરંતુ પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જોકે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યોજવા યુનિવર્સીટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં માત્ર ગોલ્ડ મેડાલીસ્ટને જ રૂબરૂ બોલાવી આગામી પહેલી ફેબ્રુઆરીના મંગળવારે કુલ 13 ફેકલ્ટીમાં 37123 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને ઘરે ડીગ્રી પહોંચાડવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ રાજકોટના રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેશાણી સહીતનાની ઉપસ્થિતિમાં માત્ર ગોલ્ડમેડાલીસ્ટસને રૂબરૂ બોલાવી મેડલ પહેરાવી નવાજવામાં આવશે. જયારે બાકીના વિદ્યાર્થીઓને ઘરે ડીગ્રી પહોંચાડવામાં આવશે.
હોમિયોપેથીમાં 10 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે
અલગ અલગ 13 ફેકલ્ટીમાં 37123 ને ડીગ્રી આપવામાં આવશે. જેમાં વાણીજ્યમાં 11156, આર્ટસમાં 9489, સાયન્સમાં 6753, શિક્ષણમાં 4133, બિઝનેસ મેનેજમેન્ટમાં 1838, કાયદામાં 1677, તબીબી વિદ્યાશાખામાં 1552, ગૃહવિજ્ઞાનમાં 227, ગામવિદ્યામાં 130, ફાર્મસીમાં 82, આર્કિટેક્ચરમાં 56, પરર્ફોમિંગ આર્ટસમાં 20 અને હોમિયોપેથીમાં 10 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.
માત્ર ગોલ્ડ મેડાલીસ્ટને જ રૂબરૂ પદવી એનાયત થશે
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોના મહામારી ધ્યાનમાં રાખી પદવીદાન સમારોહ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો અને માત્ર ગોલ્ડ મેડાલીસ્ટને જ રૂબરૂ બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા એ જ રીતે આ વર્ષે પણ માત્ર ગોલ્ડ મેડાલીસ્ટ ને જ રૂબરૂ બોલાવી પદવી એનાયત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે અને એ મુજબ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.