સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ કારણોસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા કુલપતિ સામે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો મોરચો માંડ્યો છે. જો નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઈ તેમ છે. જેથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા શરુ કરી દીધા છે. આજ રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉગ્ર રજુઆત કરી રજિસ્ટ્રાર ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી.
50 દિવસ પહેલા જાહેરનામું પ્રસિધ્ધ કરવુ ફરજીયાત
આગામી 23મે 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની સેનેટ ની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે ટર્મ પુરી થતા 50 દિવસ પહેલા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું ફરજીયાત રહેતું હોય છે જો કે મતદાર યાદી કે ચૂંટણી અંગે જાહેરનામું હજુ સુધી પ્રસિદ્ધ ન થતા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ યુથ કોંગ્રેસ અને NSUI સાથે મળી કરી હતી. આ સાથે રજિસ્ટ્રર ચેમ્બર ખાતે NSUIના કાર્યકર્તા અને આગેવાનો એ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.
આજદિવસ સુધી આવી ઘટના બની નથી: સેનેટ સભ્ય
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 23 મેં ના સેનેટ ટર્મ પૂર્ણ થઇ રહી છે આમ છતાં માર્ચ મહિનો પૂરો થવા ઉપર છે તો પણ ચૂંટણી અંગે જાહેરનામું કે મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી નથી. યુનિવર્સીટીના ઇતિહાસમાં આજદિવસ સુધી આવી ઘટના બની નથી. આમ છતાં શા કારણે વિલંબ કરવામાં આવી રહ્યું છે તે સમજી શકાતું નથી જો હજુ સમયસર પ્રસિધ્ધ કરવામાં નહિ આવે તો સ્ટેચ્યુટ નો ભંગ થશે અને ભંગ ન થાય તેની કાળજી યુનિવર્સીટીના સત્તાધીશોએ રાખવી જોઈએ..
ચૂંટણી લડી શકાય તેવી 43 સીટ છે
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં ચૂંટણી લડી શકાય તેવી 43 સીટ છે. જેમાંથી 5 વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાગબટાઈથી 37 સીટ ભાજપે રાખી તો 8 કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે આ વર્ષે પાટીલની નો રિપીટ થીયરીના ખતરાનો પણ ભય ભાજપના સભ્યોને લાગી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.