રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વિરજીભાઈ વાઘેલા (ઉ.વ.57)નું ડમ્પર હડફેટે મોત નીપજ્યું છે. માધાપર ચોકડી નજીક મોરબી રોડ પર નવો ફ્લેટ લીધો હોય ફર્નિચરનું કામ ચાલતું હોય તે જોવા માટે ગયા અને બાઈક પર પરત ફરતા સમયે ડમ્મપરની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પ્રવિણભાઈ 4 ભાઈ બે બહેનમાં બીજા નંબરના હતાં. તેમને 2 દીકરા રવિ અને જીતેન છે. મૃતક આ પહેલા એસઆરપી કેમ્પ ગોંડલ ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના ભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
યુવતીએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો
ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ઢોલરીયા પાર્ક-4માં રહેતી તન્વી અતુલભાઇ મારૂ (ઉ.વ.17) એ આજે બપોરે બારેક વાગ્યે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ભકિતનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તન્વી બે બહેનમાં નાની હતી તેમના મોટા બહેનના લગ્ન થઇ ગયા છે તે સાસરે છે. પિતા અતુલભાઇ મારૂ ગોંડલની કોર્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. આજે સવારે પિતા અતુલભાઇ ગોંડલ કોર્ટમાં નોકરી માટે ગયા હતા. જયારે તન્વીના માતા કોઇ કામસર ઘરેથી બહાર ગયા હતા. ઘરે તન્વી એકલી હતી.
તન્વી છ માસથી ગુમસુમ રહેતી હતી
માતા પરત આવતા તેણે જોયું તો પુત્રી તન્વી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. તેણે દેકારો કરી મુકતા આસપાસના લોકો દોડી આવેલા અને ગળાફાંસો ખાધેલી તન્વીને નીચે ઉતારી હતી. સ્થળ પર પોલીસ પણ આવી જતા જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. એ દરમ્યાન પિતા અતુલભાઇ પણ આવી ચુકયા હતા. પુત્રીના આવા પગલાથી પરિવારમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ કે, તન્વીનું અભ્યાસમાં મન ન લાગતું હોય તે છેલ્લા છ માસથી ગુમસુમ રહેતી હતી. હાલ તે કારણે અંતિમ પગલું ભર્યાનું પ્રાથમીક તારણ છે. જો કે, સગીરના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
BSNL કર્મી સાસુને પૃચ્છા કરવા ગયા'ને તસ્કરોએ દાગીના અને રોકડની ચોરી કરી
BSNLના કર્મચારી કિશોરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.31/01 ના રોજ મારા સાસુ ચંપાબેનને પેરાલીસીસનો હુમલો આવ્યો હોય જેથી સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા હતા અને તા.01/02 ના રોજ અમારે તેમની ખબર કાઢવા જવાનું હોય જેથી મારી દીકરી જલ્પાબેનને તેમના મામા રાકેશભાઇ મનસુખભાઇ ગણાત્રાની ઘરે મુકી હું તથા મારી પત્ની સવારના સીવીલ હોસ્પિટલ ગયા અને રાત્રે મારા સસરાને ત્યા રોકાયેલ હતા અને બીજા દીવસે તા.02/02 ના સવારના ઘરે આવેલ તો અમારી ડેલીએ તાળુ હતું. પરંતુ અંદર ઘરના દરવાજાનો નકુચો તુટેલ હતો અને ઘરનો સમાન અસ્તવ્યસત હતો અને કબાટ ખુલ્લો હતો અને ચાવી કબાટમાં ટીંગાળેલ હતી અને તે ચાવીનાજુડામાં ઉપરના રૂમની તથા ઉપરના કબાટની ચાવી પણ હતી તે જોવામાં આવેલ નહીં અને કબાટમાં રાખેલ સોનાની બંગડીની જોડ,સોના નો ચેન પેડલ,સોનાની ત્રણ વિટી ત્રણેય વીંટી આશરે અર્ધાતોલાની,ચાંદીના સોકરા જોડી,સોના ના દાણા,ચારેય દાણા અને રોકડ સહિત રૂ. 63 હજારની ચોરી થઈ હતી. આ અંગે માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.