રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગની સંખ્યા વધી રહી છે અને માત્ર 7 જ દિવસમાં નવા 6 કેસ આવ્યા છે. આ તો ફક્ત મનપાએ જાહેર કરેલો આંક છે તેની સામે અનેકગણા કેસ શહેરમાં હોવાનુ તબીબો જણાવી રહ્યા છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં તા. 25થી 31 જુલાઈ દરમિયાન ડેન્ગ્યુના 3, મલેરિયાનો 1 અને ચિકનગુનિયાના 2 કેસ આવ્યા છે.
આ સાથે વર્ષ દરમિયાન આ રોગોની કુલ સંખ્યા અનુક્રમે 26, 14 અને 12 થઈ છે. 723 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારાઈ છે. વરસાદ થંભી ગયા બાદ મચ્છરોના બ્રીડિંગ માટે યોગ્ય વાતાવરણ થઈ રહ્યું હોવાથી સંખ્યા વધી રહી છે અને જન્માષ્ટમી બાદ કે જ્યારે ચોમાસું પૂરું થઈ જશે ત્યારે આ કેસ હજુ પણ વધી શકે છે.
આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 354 દર્દી
શહેરના 22 આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ચાલે છે જેના આંક મુજબ સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 354 દર્દી આવ્યા છે. જ્યારે સામાન્ય તાવના 82 અને ઝાડા-ઊલટીના 94 દર્દી નોંધાયા છે. આ સિવાય ટાઈફોઈડ, કમળો અને મરડાના રોગ પર પણ નજર રખાય છે જોકે તંત્રના ચોપડા મુજબ છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રણેયનો એકપણ કેસ મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.