રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેર અને જિલ્લામાં કોરોના સામે રસીકરણની મેગા ડ્રાઇવ યોજાશે.
1.44 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી
રાજકોટ શહેરમાં મનપા દ્વારા આજે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં કોરોનાથી બચવા માટેની વેક્સિન વધુમાં વધુ લોકો લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 વર્ષથી વધુ વયના 1.44 લાખ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો 62,367ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો બાકી છે, જે માટે ખાસ વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.રાજકોટ શહેરમાં 60 વર્ષથી વધુ વયના 37,115, ફ્રન્ટલાઈન વોરીયર્સ 16,712 અને 8,540 હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે પ્રિકોશન ડોઝ આપવાનો બાકી છે.
પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી
આજ રોજ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધીમાં 50,000 ને વેક્સિન લગાવવી તેવો ટાર્ગેટ છે. હાલ સેકન્ડ ડોઝ અને પ્રીકોશન ડોઝ સહીત 2,06,367 ને વેક્સિન લેવાની બાકી છે. જે માટે હાલ મનપા કમિશ્નરના આદેશથી 150 કર્મીઓએ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના વેક્સિનમાં બાકી રહી ગયેલા લોકોને આજે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી છે.
22 આરોગ્ય કેન્દ્ર વેક્સિનેશનની મેગા ડ્રાઇવ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 22 આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવરબા હોસ્પિટલ ખાતે સવારે 8થી સાંજે 7 સુધી 12 વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા 60 વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ સાથે ખાસ રાજકોટના શીતલપાર્ક ચોક નજીક આવેલ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.