રાજકોટ શહેરમાં વેક્સિનેશનમાં પહેલા ડોઝમાં 100% લક્ષ્યાંક પૂર્ણ થઈ ચૂક્યો છે.આ તકે મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મનપા કચેરી ખાતે આરોગ્યકર્મીઓને મીઠાઇ ખવડાવી ઉજવણી કરી અભિનંદન પાઠવ્યા હતા.આ અંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે,રાજકોટમાં 11.42 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ખરેખર ! વેક્સિનેશન અભિયાન ખુબ જ કપરૂ કામ હતું.
જેમણે રસી નથી લીધી એ રસી મુકાવી લે તેવો મારો અનુરોધ છે
વધુમાં મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી વેક્સિનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોરોના મહામારી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વેક્સિનેશન ની પ્રક્રિયા આરંભવામાં આવી હતી. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન મામલે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજકોટ ના મેયર પ્રદીપ ડવ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, રાજકોટ શહેર માં વસતા તમામ લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે રાજકોટ શહેરમાં વસતા લોકોને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કુલ 11,42,841 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કે 6,59,618 લોકોને પ્રથમ અને દ્વિતીય ડોઝ બંને આપી દેવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજકોટ મનપા દ્વારા કુલ 18,02,459 ડોઝ આપવામાં આવ્યા છે.
500થી વધુ ગામોમાં 100 ટકા રસીકરણ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે દેશમાં 100 કરોડ લોકોને રસીકરણ કરવામાં આવ્યુ તેની ઉજવણી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં આરોગ્ય કેન્દ્રો પર રંગોળી અને બેન્ડ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પણ કોરોના રસીકરણ ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે 592 ગામોમાંથી અત્યાર સુધીમાં 500થી વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂકયુ છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 10.82 લાખ લોકો (96 ટકા)ને પહેલો ડોઝ અપાયો છે અને 5 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો છે.
વિંછીયા તાલુકામાં સૌથી ઓછુ રસીકરણ થયું છે
રાજકોટ જિલ્લામાં સૌથી ઓછુ રસીકરણ ધોરાજી અને ઉપલેટા નગરપાલિકામાં થયુ છે આશરે 40 હજાર લોકોએ હજુ વેકસીન લીધી નથી. આ બે શહેરોનાં લોકોને સમજાવવાએ આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે. આરોગ્ય અધિકારીઓએ સ્થાનિક રુબરુ આગેવાનોને સમજાવ્યા છતાં રસી લેવા તૈયાર નથી આમ છતાં હજુ સમજાવવામાં આવી રહયા છે અને વિંછીયા તાલુકામાં સૌથી ઓછુ રસીકરણ થયું છે.
દરેક શાખાએે સાથે રહીને કામ કર્યું ત્યારે અહીં સુધી પહોંચવું શક્ય બન્યું : આશિષકુમાર
100 ટકા લક્ષ્ય હાંસલ કરવા માટે શું પ્રયત્નો થયા હતા તે મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે જણાવ્યું હતું કે, ‘આરોગ્ય કર્મચારીઓએ દિવસ-રાત કામ કર્યુ છે પણ તેમની સાથે અન્ય શાખાઓ પણ જોડાઈ હતી અને બધાના સંકલિત પ્રયાસ જ કામ લાગ્યો હતો. જેમ કે, વેરા વસૂલાત શાખાની ટીમ ઘરે ઘરે જઈને લોકોને સમજાવતી હતી, દબાણ હટાવ શાખા ફેરિયાઓ માટે, ફૂડશાખા હોટેલ રેસ્ટોરન્ટ તેમજ જ્યાં સૌથી વધુ જાગૃતિની જરૂર હતી એવા સ્લમ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગ અને સ્વચ્છતા કર્મીઓએ લોકોને સમજાવી રસી માટે તૈયાર કર્યા હતા. આ રીતે બધાએ એક સાથે કામ કરતા લક્ષ્ય પૂરો થયો છે’
આ છે લોકોને સુરક્ષિત કરનારા આરોગ્ય કર્મચારીઓ
વેસ્ટ ઝોનમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં સતત ફરજ નિભાવીને 21000થી વધુ રસીના ડોઝ લોકોને આપ્યા છે. તેઓએ એક જ દિવસમાં 1680ને રસી આપીને મેગા વેક્સિન કેમ્પનો મહત્ત્વનો હિસ્સો બન્યા હતા.
સૌથી વધુ જ્યાં રસી માટે ભીડ રહેતી તે નંદનવન આરોગ્ય કેન્દ્રના નેન્સીબેન પરસાણિયાએ અત્યાર સુધીમાં 42758 ડોઝ આપ્યા છે. જો કે મેગા વેક્સિનેશનમાં એકલા હાથે 2178 લોકોને કોરોનાની રસી આપી હતી.
આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર કે જ્યાં સૌથી વધુ રસીકરણ થયું છે ત્યાં રેણુકાબેને 18000 લોકોને રસી આપીને સુરક્ષિત કર્યા છે. મેગા કેમ્પમાં એક જ દિવસમાં 680 લોકોને કોરોના રસી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.