જસદણના ભીખાભાઈ હરજીભાઈ મોલીયા નામના આધેડે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ જેતપુરના પીઠડીયા પાસે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. આ બનાવમાં જસદણના કૈલાસનગરમાં રહેતા દિનેશ ભીખાભાઈ મોલીયા(ઉ.વ.32) એ જસદણના જ રહીશ દિલીપ ગોવિંદ ચાંવ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના પિતા ભીખાભાઈ હરજીભાઈ મોલીયાએ આજથી 7 વર્ષ પહેલા આરોપી દિલીપ ગોવિંદ ચાંવ પાસેથી રૂ.4 લાખની રકમ 5 ટકા વ્યાજે લીધી હતી.
જે વ્યાજ સહિત ચુકવી દીધા પછી પણ વ્યાજખોરે નાણાની ઉઘરાણી ચાલુ રાખતા તેનાથી કંટાળી જઈ તેના પિતા ભીખાભાઈ હરજીભાઈ મોલીયાએ ગત તા.2 ના રોજ 11 વાગ્યે પીઠડીયા પાસે ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે. આ બનાવમાં મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપી સામે વિરપુર પોલીસે ગુનો નોંધી પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.