વીંછિયા તાલુકાના ઢેઢુકી ગામ પાસે રીક્ષાએ બુલેટના ચાલકને હડફેટે લેતા ચોટીલાના આણંદપુરના વેપારીનું મોત નિપજયું હતું. ચોટીલાના આણંદપુર ગામે રહેતા અને ત્યાં જ એગ્રોની દુકાન ધરાવતા વેપારી તૌશીફભાઈ ઈકબાલભાઈ વડીયા પોતાનું બાઇક લઈ વિંછીયાથી આણંદપુર જતા હતા. ત્યારે સામેથી આવતી છકડો રીક્ષાના ચાલકે તેમને હડફેટે લેતા તૌશીફભાઈને ગંભીર ઈજા થતા સારવાર અર્થે જસદણની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત નિપજયું હતું.
આ અકસ્માતના બનાવ બાદ અકસ્માત સર્જનાર ચાલક રીક્ષા લઈ નાસી છૂટ્યો હતો. બાદમાં આ બનાવ અંગે મૃતકના ભાઈ સાહીદભાઈએ રીક્ષા ચાલક સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામનાર વેપારી તૌશીફભાઈ પરીણીત હતા અને તેમને સંતાનમાં 5 વર્ષનો પુત્ર છે. પરંતુ આ અકસ્માતના પગલે પિતાની છત્રછાયા ગુમાવતા મુસ્લીમ પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.