શંકાસ્પદ ટ્રક મામલામાં તપાસ અંતે....:ગોંડલ ભરૂડી ટોલનાકેથી પકડાયેલો 33 ટન ચોખાનો જથ્થો કાયદેસર હોવાથી વેપારીઓને પરત કરાયો

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના ભરૂડી ગામ નજીક નેશનલ હાઇવે પર ટોલનાકા નજીકથી ગઇકાલે રાત્રે રૂરલ એસઓજીની ટીમે 33 ટન ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડયો હતો અને તપાસ અર્થે આ જથ્થો મામલતદાર તંત્રને સોંપી દીધો હતો. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગોંડલ જતા નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા નજીક 14 વ્હિલવાળો તોતીંગ ટ્રક શંકાસ્પદ સ્થિતિમાં ત્યાંથી પસાર થતા એસઓજીની ટીમે ટ્રકને અટકાવી ચાલકની પ્રાથમિક પુછપરછ કરતા ચાલકે જણાવેલ કે ટ્રકમાં ચોખા છે અને બિલખાથી ચોખા ભરી મુન્દ્રા ખાતે પહોંચાડવાના છે.

તપાસ કરતા ચોખાનો જથ્થો 33 ટન હોવાનું જાણવા મળેલ અને ચોખા શંકાસ્પદ જણાતા મામલતદારને જાણ કરી હતી. ગોંડલ મામલતદાર અને તેમની ટીમે રૂા.8 લાખનો ચોખાનો જથ્થો અને ટ્રક મળી 18 લાખના મુદ્દામાલનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા આ જથ્થાના વેપારી દોડી આવ્યા જતા અને વેપારીએ ખરીદ વેચાણના અને ટ્રાન્સપોર્ટ કરવાના કાગળો રજૂ કર્યા હતા. જે પછી ચોખાનો જથ્થો કાયદેસર હોય વેપારીઓને પરત કરાયો હતો.

શું બન્યો હતો બનાવ
ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ગામ નજીક ટોલનાકા પાસે શુક્રવાર રાત્રે રૂરલ એસઓજીની ટીમે 33 ટન ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડયો હતો. સસ્તા અનાજના ચોખા સગેવગે કરાતા હોવાની શંકા ઉઠતા તપાસ અર્થે મામલતદાર તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, એસઓજી પીઆઇ કે.બી.જાડેજા, પીએસઆઇ બી.સી.મિયાત્રા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા નજીક 14 વ્હીલવાળો તોતીંગ ટ્રક ઓવરલોડ અને શંકાસ્પદ સ્થિતિમાં ત્યાંથી પસાર થતા અટકાવી ચાલક આસીફ ઠેબા તેમજ મનીષ જોગીની પ્રાથમિક પુછપરછ કરતા ટ્રકમાં 33 ટન ચોખા બિલખાથી ભરી મુન્દ્રા ખાતે પહોંપાડવાના હોવાનું જણાવ્યું હતું. જે બાબતે શંકા જણાતા અને ચોખાની હેરાફેરીના કોઇ દસ્તાવેજ પણ ન હોવાની પોલીસે મામલતદારને જાણ કરી હતી. ગોંડલ મામલતદાર જીગ્નેશ ગોંડલિયા પુરવઠા અધિકારી અને તેમની ટીમે રૂા.8 લાખનો ચોખાનો જથ્થો અને ટ્રક મળી 18 લાખના મુદ્દામાલને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન શ્રીહરિ ટ્રેડર્સ - ગીર સોમનાથના વેપારી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...