બે જૂથો વચ્ચે વિવાદ વકર્યો:ગોંડલ-રીબડા જૂથ વચ્ચેના વિવાદના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવાં ચૂંટણીપંચનો નિર્દેશ

ગોંડલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપતા રીબડાના અનિરૂદ્વસિંહે કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહેતા ચૂંટણીંમાં મોટી નવાં જૂની થવાના એંધાણ થયા છે. જે બાબતને ધ્યાનમાં લઇને ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે. ગોંડલ પ્રાંત અધિકારી કે વી બાટી એ પણ કહ્યું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.

જયરાજસિંહે જાહેરમાં ધમકી આપી હતી
જેને પગલે ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન આઇપીએસ અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા છે. તો એસઆરપી અને સીઆરપીએફની અનેક કંપનીઓને તૈનાત કરાવવા માટે સૂચના આપી છે. ગોંડલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા વતી ભુણાવા ગામમાં ચૂંટણી સભા દરમિયાન જયરાજસિંહે તેમની સામે ટિકિટ માંગનારાને જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે, ગોંડલની બેઠક જયરાજસિંહની જ રહેશે. જે વીડિયો વાયરલ થતાં પોલીસ એલર્ટ મોડ પર હતી. ત્યારે સોમવારે રીબડાના અનિરૂદ્વસિંહે જયરાજસિંહને પડકારતા મતદારોને કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહ્યું હતું.

ગોંડલની બેઠક સૌરાષ્ટ્ર માટે સંવેદનશીલઃ રાજકોટ રેંજ આઇજી
જે બંને વીડિયો વાયરલ થતા ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલમાં સૌથી મોટા અને ચૂસ્તબંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી. જેમાં ગોંડલ વિધાનસભામાં આવતા તમામ ગામડાં અને વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક, સતત મોનિટરીંગ કરીને બે-બે કલાકના અંતરે રિપોર્ટ આપવા માટે પણ જણાવાયું છે. જે અંગે રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે જણાવ્યું કે, ગોંડલની બેઠક સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ છે. જેથી ગોંડલમાં રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચ , સ્પેશીયલ ઓપરેશન ગૃપ અને સીનિયર આઇપીએસ તેમજ ડીવાયએસપી સ્તરના અધિકારીઓના કેમ્પ જ ગોંડલમાં મુકવાની સુચના રાજકોટના જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.

પરિણામ આવ્યાં સુધી પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે
ખાસ કરીને રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો પણ કાર્યરત રહે છે. આ સાથે તમામ ગામોમાં વીડિયોગ્રાફી પણ કરાશે. માત્ર ચૂંટણીના દિવસે મતદાન શાંત વાતાવરણમાં થાય તે માટે જ નહીં પણ પરિણામ આવ્યા સુધી ગોંડલ વિધાનસભા પર પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ, અનિરૂદ્વસિંહ જૂથના માણસોએ ગોંડલ વિધાનસભામાં આવતા ગામોમાં જયરાજસિંહની લીડ તુટે તે માટે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કર્યો છે.

પોલીસે બંદોબસ્ત વધારવાં પર ભાર મુક્યો
જેથી 15થી 20 ગામોના મત તુટે તો ગીતાબા જાડેજાને મોટું નુકસાન થઇ શકે તેમ છે. તેવી સ્થિતિમાં બંને જૂથ વચ્ચે મોટી નવાં જૂનીના એંધાણ છે. તો બીજી તરફ પોલીસે ભાજપના સીનિયર નેતાઓની મદદ લઇને જયરાજસિંહ અને અનિરૂદ્વસિંહને સમજાવવા સોમવારે સાંજ સુધી પ્રયત્ન કર્યા હતા, પરંતુ બંને જૂથ હવે આમને-સામને આવી ગયા હોવાથી સમજાવટનું પરિણામ મળી શક્યું નથી. જેથી પોલીસે હાલ બંદોબસ્ત વધારવા પર જ ભાર મુક્યો છે.