રાજકોટ જિલ્લાના ગોંડલ, કોટડા સાંગાણી, શાપર, વેરાવળ, જામકંડોણા સહિત તાલુકાના 20થી વધારે ગામોમાં અનેક ચોરીની ઘટનાઓ બની હોવાની વ્યાપક ફરિયાદને લઈ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્ર ગતિમાન કર્યા હતા. જે અંતર્ગત બાતમીના આધારે ગોંડલ તાલુકાના રૂપાવટી ગામેથી બે તસ્કરોને સોના ચાંદીના દાગીના, મોબાઈલ, બાઇક તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 5,96,090ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત ગામોમાં દિન પ્રતિદિન ચોરીની ઘટના બની રહી હોય જેની ફરિયાદ રાજકોટ એલસીબી ક્રાઈમ બ્રાન્ચ પાસે આવતા પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ ગોહિલ, બડવા, તેમજ એ.એસ.આઇ મહેશભાઈ જાની, અમિત સિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા ,નરેન્દ્રસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, રૂપક ભાઈ બોહરા અને પ્રહલાદભાઈ રાઠોડ સહિતના પોલીસ કર્મીઓએ તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન ગોંડલના રૂપાવટી પાસેથી અશોક ઉર્ફે હસમુખ ભીખાભાઈ વાઘેલા રહે. રૂપાવટી તેમજ અજય ઉર્ફે જયંતીભાઈ ઝાપડિયા રહે. સુરેશ્વર ચોકડી રેલ્વે ફાટક પાસે ગોંડલ વાળાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી સોનાના દાગીના કિંમત રૂ. 3,98,700, ચાંદીના દાગીના કિંમત રૂ. 63,690, બે મોબાઈલ ફોન બે કિંમત રૂ. 5,500 તેમજ એક બાઈક કિંમત રૂ. 25,000 તથા રોકડા રૂપિયા 1,03,200 મળી કુલ રૂ. 5,96,090નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.