અનૈતિક સબંધો અનેક વખત કરૂણ અંજામ આપે છે ત્યારે સુરતની વિધવા મહિલાને ઘરમાં બેસાડવાની લાલચ આપી જામજોધપુરના શખ્સે સૌરાષ્ટ્રમાં જુદા-જુદા સ્થળે ફેરવ્યા બાદ મહિલાના બાળકનું અપહરણ કરી આરોપી નાસી ગયાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે.
ગોંડલના મોટાદડવામાં વાડીમાં રહી ખેતમજૂરી કરતી મુળ ઉત્તરપ્રદેશની શમા પરવીન મોહમ્મદ મંસુર પઠાણે આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ જામનગરના જામજોધપુર તાલુકાના સતાપર રહેતા સંજય સિંહોરાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મહિલાના 11 વર્ષ પહેલા સાજીદ સાથે લગ્ન થયા હતા, લગ્નજીવન દરમિયાન બે સંતાનની પ્રાપ્તી થઈ હતી. યુવતી લગ્ન બાદ પતિ સાથે સુરત રહેવા આવતી રહી હતી. બાદમાં પતિ ક્યાંક જતો રહ્યા બાદ તેનું મૃત્યુ થયું હોવાના સમાચાર ફરિયાદીને મળ્યા હતા.
સુરતમાં કંપનીમાં મજૂરીકામ કરતી યુવતીને કોઇ ઈમરાન થકી લક્ઝરી બસ ચલાવતા સંજય સિંહોરા સાથે ઓળખાણ થયા બાદ પત્ની તરીકે ઘરમાં બેસાડવાની વાત કરી યુવતીને બે બાળકો સાથે સૌરાષ્ટ્રમાં લઈ આવ્યો હતો.
ચોટીલા, ગોંડલ, મેંદરડા, મોરબી સહિતના સ્થળોએ ફેરવ્યા બાદ તા. 12-11ના મોટા દડવામાં વિપુલ ભુવાની વાડીએ મજૂરી કામ અર્થે રહ્યા હતા અને તા. 6-12ના વહેલી સવારે આરોપી સંજય ફરિયાદીના 8 વર્ષના પુત્ર અયાનને ખરીદી કરવા જવાના બહાને સાથે લઈ ગયા બાદ ભેદી સંજોગોમાં લાપતા બની ગયો હતો. ત્રણ દિવસ સુધી પ્રેમી કે પુત્રનો પતો નહી લાગતા યુવતીએ પ્રેમી સામે પોતાના પુત્રનું અપહરણ કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.