ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં અપમૃત્યુનાં બનાવો વધ્યાં હોય છે. તાલુકાના શિવરાજગઢ ગામે યુવાને પોતાના જન્મદિવસે જ ફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. યુવકની સગાઇ એક વર્ષ પહેલાં થઇ છે અને તે કડિયાકામ કરીને પરિવારને મદદરૂપ થઇ રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તો યુવકે આપઘાત શા માટે કર્યો એ કારણ અકળ રહ્યું છે.
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા મેહુલ રમેશભાઈ સાકરીયા ઉ.વ. ૨૬ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના જન્મદિવસે જ ઝાડ પર લટકીને ફાંસો ખાઇ લેતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
મેહુલનો સોમવારે જન્મદિવસ હતો, અને તે શાપર વેરાવળ ખાતે કડીયા કામ કરતો હતો તેમજ એક વર્ષ પહેલાં જ તેની સગાઈ પણ થઈ હતી. ત્રણ ભાઈના પરિવારમાં તેનો બીજો નંબર હતો. બનાવના પગલે સરકારી દવાખાને યુવાનના સગા વ્હાલા મિત્ર મંડળ દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસના કારણે યુવકે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.