21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વધુને વધુ લોકો યોગ તરફ વળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે પોરબંદરમાં કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગાનો કાર્યકમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને યોગા કર્યા હતા. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા તેમજ કોસ્ટગાર્ડ અને ફિશરીઝ વિભાગના અધિકારીઓએ પણ યોગા કર્યા હતા. પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને યોગા કર્યા હતા.
કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમ રૂપાલા પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલા યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.
મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2022 માટે કાઉન્ટ ડાઉન યોગાત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, યોગ વિદ્યા એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગ અને આયુર્વેદને વેશ્વિક ઓળખ મળી છે.
યોગ અને આયુર્વેદ પુન:સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનું કાર્ય કર્યુ છે અને ઘરે ઘરે યોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, યોગ તરફ આજની નવી પેઢી વળે, અને આ અનમોલ વિદ્યા દ્વારા તન અને મનને તંદુરસ્ત બને અને તન-મનથી રાષ્ટ્રને તંદુરસ્ત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. વ્યક્તિ, સમાજ અને દેશ તંદુરસ્ત બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કરીએ. યોગ અને આયુર્વેદ આ બંન્ને સદપ્રમાણ અનુપાલન વ્યક્તિક જીવનામાં વધે તો સામાજિક તંદુરસ્તીનુ સ્તર આપોઆપ ઉપર આવે. ફિશિરીઝ વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી વિસ્તારમાં યોગને વધુને વધુ લોકો સુધી લઇ જવાના હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.
21 જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરકારના જુદા-જુદા તમામ વિભાગો યોગાસન કાર્યક્રમમાં જોડાશે. આજે પોરબંદર ઉપરાંત વારાણસી, દિલ્હી, કોચી સહિતના સ્થળોએ પણ યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા, મત્સ્ય વિભાગના સચિવ જતિન્દ્ર શ્વૈન, સેક્રેટરી જે.બાલાજી, જિલ્લા કલેક્ટર અશોક શર્મા, ડાયરેક્ટર સતીષ પટેલ, ડી.આઇ.જી કોસ્ટ ગાર્ડ એસ.કે.વર્ગિસ, આર.કે.સીંઘ, ડો.આર.જાયાબાશકરન, કીરીટ મોઢવાડીયા, વાણોટ પવન શિયાળ સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિરવ જોષીએ કર્યુ હતું. યોગોત્સવ કાર્યક્રમ બાદ મંત્રી પરશોતમ રૂપાલા, ધારાસભ્ય બાબુ બોખીરીયા સહિત મહાનુભાવો પોરબંદરના હાજી અબ્દુલ સત્તાર મૌલાનાની શુભેચ્છા મુલાકાત કરી તેમની લાઇબ્રેરીનું નિરિક્ષણ કરી ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.