પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે આર્યસમાજની પોરબંદર શાખા દ્વારા સ્વામી વિવેકાનંદ પરિવ્રાજકનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મહિલા કોલેજમાં સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીનીઓ જોડાઈ હતી. સ્વામી વિવેકાનંદજી યોગ, સાંખ્ય દર્શન, વેદાંત, મીમાંસા તથા ઉપનિષદોના અભ્યાસી છે.
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માનિત થયેલા છે. કાર્યક્રમના પ્રારંભમાં વાઈસ પ્રિન્સીપાલ ડો. રેખાબેન મોઢાએ સ્વામીજી તથા તેમની સાથે જોડાયેલા પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિલાલ જુંગીવાલા તથા ઉપમંત્રી હરનારાયણ સિંહનો પરિચય આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરાવ્યું હતું. સ્વામીજીએ પ્રવચન દરમ્યાન સ્ત્રીઓએ પોતાની કારકીર્દિ માટે શિક્ષણ ક્ષેત્ર, ચિકિત્સા ક્ષેત્ર, ન્યાય તંત્ર અને પોલિસ વિભાગ તથા લશ્કરમાં જોડાવું જોઈએ એ બાબત પર ભાર મૂક્યો હતો.
સ્વામીજીએ વિદ્યાર્થીઓ માટે દિનચર્યા સ્પષ્ટ કરી હતી તથા શિક્ષણ કઈ રીતે લેવું જોઈએ તે અંગે માર્ગદર્શન પુરું પાડયું હતું તથા શિક્ષણકાર્ય તથા કારકીર્દિ દરમ્યાન એકાગ્રતા ઉપર ભાર મૂકીને વિદ્યાર્થીનીઓને સવાર સાંજ ધ્યાન કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. ડો. વાધેલા દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન અને કાર્ય સાથે સંબંધિત પુસ્તક ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન વિધાર્થીનીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ કરવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, વર્કીંગ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા તથા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહે અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.