પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ સામે વોકવે ની કામગીરી શરૂ થતા અસ્થિ વિસર્જન માટેનો રોડ બિસ્માર બન્યો છે તેમજ પિતૃ કાર્ય માટે ફૂલ પધરાવવા અને તર્પણ કરવા જવા માટે પથ્થરો પરથી પસાર થઈ જોખમ ખેડીને જવું ઓડે છે, જેથી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.
પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ સામે ઈન્દ્રેશ્વર મંદિર પાસેના દરિયા વિસ્તારમાં વોક વેની કામગીરી ચાલી રહી છે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન કરવા માટે મૃતકના સ્વજનો દરિયામાં અસ્થિ વિસર્જન કરતા હોય છે પરંતુ વોક વેની કામગીરીના કારણે રસ્તો અતિ બિસ્માર છે. અહીં દરિયા સુધી પહોંચવા માટે મૃતકના સ્નેહીજનોને અસ્થિ વિસર્જન માટે બિસ્માર રોડ પસાર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે.
તો બીજીતરફ ઈન્દ્રેશ્વર મંદિર ખાતે પિતૃ કાર્ય કરવા પણ અનેક લોકો આવે છે. આવા વ્યક્તિઓને ફૂલ પધરાવવા તથા પિંડ તરાવવા સહિતની વિધિ માટે દરિયા સુધી જવાનું હોય છે પરંતુ વોકવે ની કામગીરીના કારણે દરિયા સુધી પહોંચવા ભારે હાલાકી વેઠવી પડે છે કારણકે અહીં રસ્તો જ નથી બનાવવામાં આવ્યો. જે રસ્તો છે ત્યાં મોટા પથ્થરો છે. જેથી પિતૃ કાર્ય માટે આવતા લોકોને ખુલ્લા પગે જવાનું હોય છે આથી દરિયા સુધી પહોંચવા જતા પથ્થરો પગમાં લાગે છે અને પડી જવાનો ભય રહે છે.
વૃદ્ધ અને બાળકો અહીંથી પસાર થઈ શકતા નથી જેથી અસ્થિ વિસર્જન માટે જતો બિસ્માર રસ્તાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમજ પિતૃ કાર્ય માટે આવતા લોકોને દરિયા સુધી પહોંચવા યોગ્ય સમારકામ કરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.