પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં આંખના સર્જન નથી જેને કારણે અઢી માસથી દર્દીઓના આંખના ઓપરેશન થયા નથી જેથી તાત્કાલિક આંખના સર્જનની નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ જિલ્લાભર માંથી સારવાર અર્થે આવે છે. આ હોસ્પિટલમાં આંખનો વિભાગ આવેલ છે અને ઓપરેશન માટે સાધનો ની પણ સુવિધા છે પરંતુ અહી લાંબા સમયથી આંખના સર્જન અનિયમિત રહે છે અને હાલ આ આંખના વિભાગમા આંખના સર્જન નથી. જેને કારણે આંખના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છેકે, અહી હાલમાં 2 રેસીડન્ટ ડોકટર છે અને 1 આંખના વિભાગના મદદનીશ છે.ત્યારે 2 રેસીડન્ટ ડોકટર એમબીબીએસ છે જેથી આંખના દર્દીના ઓપરેશન થઇ શકતા નથી. બન્ને તબીબો આંખના નંબર, આંખમાં ચેપ હોય,રતાંધણાપણું સહિતની આંખના સામાન્ય રોગની તપાસ અને સારવાર કરવામાં આવે છે પરંતુ તા. 15 નવેમ્બર 2022 થી એકપણ દર્દીના આંખના ઓપરેશન કરવામાં આવ્યા નથી. એ પણ ઉલ્લેખનીય છેકે, મેડિકલ કોલેજના ડીન દ્વારા આંખના સર્જન ની નિમણુક કરવામાં આવી હતી પરંતુ અઠવાડિયામાંજ આ આંખમાં સર્જને રાજીનામુ આપી દીધું હતું. જેથી આંખના સર્જનની વહેલી તકે નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.