ઓડદર ગામની કેનાલ માંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રિના સમયે અકસ્માતે કેનાલમાં પડી જતા વૃદ્ધનું ડૂબી જતાં મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોરબંદરના ઓડદર ગામે રહેતા રામદેભાઈ દેવાભાઈ મોઢવાડીયા નામના 68 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ ઓડદર ગામે આવેલ કેનાલમાં તરતો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આ વૃદ્ધના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ મુજબ જણાવ્યું હતું કે, આ વૃદ્ધ વાડીએ સૂતા હતા ત્યારે રાત્રિના સમયે કેનાલ પાસે જતા અકસ્માતે કેનાલમાં પડી જતા તેમનું મોત થયાનું હાલ જાણવા મળે છે. ઢોરને ખસેડવા અથવા બાથરૂમ કરવા માટે કેનાલ સુધી ગયા હોય અને પગ લપસી જતાં અકસ્માતે કેનાલ માં પડી જતા ડૂબી જવાથી મોત થયાનું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું છે. જોકે આ અંગે વધુ તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવી રહી છે. વૃદ્ધનું મોત નિપજયાના બનાવથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.