કર્લી જળાશયમાં લોકો ફૂલ હાર સહિતની ધાર્મિક સામગ્રી ફેંકી જળાશય પ્રદૂષિત કરે છે જેથી પ્રદૂષણ અટકાવવા તંત્ર પગલાં લે તેવી માંગ સાથે અટકાવવા અંગે સામાજિક કાર્યકર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે.કર્લી જળાશય ચિકાસા ગામથી લઈને પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે.
આ જળાશયમાં અનેક પક્ષીઓ આવે છે અને માછલીઓ રહે છે. કેટલાક લોકો પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની ચીજો જળાશયમાં ફેંકી જાય છે તો કેટલાક લોકો દેવી દેવતાની ખંડિત પ્રતિમાઓ, ફૂલ હાર, અગરબતી, ધૂપની ભભૂતી, કંકુ, ચૂંદડી સહિતની સામગ્રીઓ કર્લી પુલ પરથી કર્લી જળાશયમાં ફેંકી જાય છે.
જેને કારણે જળાશયમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આવી કેટલીક ચીજોમાં કેમિકલ હોવાથી પાણીની ક્વોલિટી ખરાબ થાય છે. આવી ચીજોને કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધે છે. આ પાણી બોર માથી આવતું હોય જેથી પાણી જન્ય રોગ અને ચામડીના રોગ થઈ શકે તેમજ જળાશયમાં રહેતા માછલી સહિતના જીવો અને પક્ષીઓને પણ આ દૂષિત પાણીના કારણે નુકશાન થઈ શકે છે.
જેથી આ પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા આકરા પગલા લેવા જોઈએ અને લોકો આવી ચીજો ફેંકતા અટકાવવા જાહેરનામું બહાર પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત આવી સામગ્રી ફેંકતા અટકાવવા માટે પુલ પર લોખંડ કે અન્ય ધાતુની જારી મૂકવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અશ્વિનભાઈ દવેએ તંત્ર સમક્ષ સૂચન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.