હાલ મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે આ તહેવારમાં લોકો પતંગની મોજ માણશે, પરંતુ આ મોજ મજા સાથે પક્ષીઓની દેખભાળ કરવી પણ ખૂબ જ અનિવાર્ય છે. આ ઋતુ દરમ્યાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરનું આતિથ્ય માણવા આવે છે, એ સમયગાળા દરમિયાન જ મકરસંક્રાંતિ પર્વ પણ આવે છે.
ત્યારે આ પતંગના દોરામાં ફસાઈને અને અનેક પક્ષીઓ જીવ ના ગુમાવે તે માટે પક્ષી બચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે અને બાળકોને પક્ષીઓ કઈ રીતે ઓછા ઘાયલ થાય તે માટેની સમજ આપવા માટે વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત પોરબંદરની ચમ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને પોરબંદર વન વિભાગ દ્વારા એક ક્લિપ સાથે બાળકોને પક્ષીઓ કઈ રીતે ઘાયલ થાય અને પક્ષીઓ ઘાયલ થાય ત્યારે શું કરવું શું નહીં તે માટેનું ખાસ લેક્ચર લેવામાં આવેલ હતું.
ચમ સ્કૂલના કમલભાઈ પાઉં અને પ્રિન્સિપાલ સુનયનાબેન ડોગરાની ખાસ અપીલથી આ શાળામાં કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિદ્ધાર્થ ગોકાણી દ્વારા લેક્ચર લેવા માં આવેલ હતું. આ સમગ્ર અભિયાનમાં પોરબંદર વન વિભાગ માંથી આરએફઓ સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ અને ફોરેસ્ટગાર્ડ બીકે ઓડેદરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.