પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમા ચાલું વર્ષે મબલખ માત્રામાં ચણાના પાકનું વાવેતર થયું છે. ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડુતોને નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે. ચણાના પાકમાં આવેલા રોગને લઈને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને નુકશાની અંગે સર્વે કરવા રજૂઆત કરવામા આવી છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાએ પત્ર લખી રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, કુતિયાણા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે ઘેડ વિસ્તારમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ આ વર્ષે ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા આ વિસ્તારમાં ચણાના પાકને ખુબ જ મોટી નુકશાની થયેલી છે. જેના કારણે ખેડુતોને ખુબ જ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થયુ છે.
ઘેડ વિસ્તારના ખેડુતો એક જ પાક લઇ શકે છે. જે પણ હાલ નિષ્ફળ જાય તેવી પરીસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરીને ખેડુતોને થયેલી નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ભલામણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.