પોરબંદર નજીક આદિત્યાણા ગામે રસ્તા, પાણી, ગંદકી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે સત્વરે યોગ્ય કરવા તંત્રને રજૂઆત કરી છે. પોરબંદર નજીક આવેલ રાણાવાવ તાલુકાના આદીત્યાણા ગામ ખાતે વિવિધ સમસ્યાઓના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આદિત્યાણાના ડંકી વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે સ્થાનિક અગ્રણીઓએ જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
ગટરની સમસ્યા, ગંદકીની સમસ્યા તેમજ યોગ્ય રીતે સફાઈ થતી ન હોય અને રસ્તા તથા પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બની રહ્યા છે. ત્યારે જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આગામી એક અઠવાડિયામાં સ્થાનિકોની મુશ્કેલીનું નિરાકરણ નહી કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.