આજે મંગળવારે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કાંધલ જાડેજાનું સમાજવાદી પાર્ટીનું ફોર્મ માન્ય રહ્યું છે. પોરબંદરમાં 9 ફોર્મ રદ થયા 13 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા જ્યારે કુતિયાણા માંથી 7 ફોર્મ રદ અને 14 ફોર્મ માન્ય રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભાની બેઠક માટે રાજકીય પક્ષોના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગઇકાલે તા. 14ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ઉલ્લેખનીય છેકે, કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાએ અગાઉ એનસીપી માંથી ઉમેદવારી નોંધાવી હતી અને બાદ એનસીપી દ્વારા મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજાએ એનસીપી માંથી રાજીનામુ આપ્યું હતું અને તા. 14 ના રોજ અપક્ષ અને સમાજવાદી પાર્ટી માંથી ફોર્મ ભર્યું હતું.
આજે મંગળવારે ફોર્મ ચકાસણી હતી જેમાં સમાજવાદી પાર્ટી માંથી કાંધલ જાડેજાનું ફોર્મ માન્ય રહ્યું છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુંકે, ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ ઉમેદવાર અપક્ષ અને કોઈ પાર્ટીના મેન્ડેટ સાથે ફોર્મ ભરે તો બન્ને ફોર્મમાથી મેન્ડેટ સાથેનું ફોર્મ માન્ય રહે છે. કાંધલ જાડેજાનું એનસીપી માંથી ભરેલ ફોર્મમાં મેન્ડેટ ન હોવાથી તે માન્ય રહ્યું નહિ.
મેન્ડેટ સાથેનું સમાજવાદી પાર્ટીનું ભરેલ ફોર્મ ગાઈડલાઈન મુજબ માન્ય રહ્યું છે. 83 -પોરબંદર વિધાનસભા માટે તપાસણીના અંતે 9 ફોર્મ રદ થયા છે અને 13 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે જ્યારે 84- કુતિયાણા વિધાનસભા માટે 7 ફોર્મ રદ થયા છે. તથા 14 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 છે. ત્યારે કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના આધારે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.