નરસંગ ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસ પાછળ શેરીમાં મેન્યુઅલ ગટર છલકાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ બન્યા નથી જેથી સ્થાનિકોએ પાલિકા ખાતે પહોંચી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
પોરબંદરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસ પાછળની શેરીમાં 30થી વધુ મકાનો આવેલ છે અને સ્થાનિકો અહી વસવાટ કરે છે. અને તમામ સ્થાનિકો એક જ માર્ગનો ઉપયોગ કરે છે જે રોડ અતિ બિસ્માર હાલતમાં છે અને ભૂગર્ભ ગટર બની ગયેલ છે તેમજ સ્થાનિકોએ કનેક્શન લઈ લીધા હોવા છતાં મેન્યુઅલ ગટર ઉભરાઈ રહી છે અને ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે. જેને કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
આ સમસ્યાના નિવારણ માટે અનેક વખત રજૂઆત બાદ પણ કામગીરી થઈ ન હોવાથી સ્થાનિકો ફરી પાલિકા કચેરીએ પહોચ્યા હતા અને કર્મચારીને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતુંકે, આ શેરી પાસેથી એક સાંકડી શેરી પસાર થાય છે જ્યા મેન્યુઅલ ગટર નીચી હતી અને લોકો ખાબકી જાય તેવી શક્યતા હોવાથી સ્થાનિકોએ સ્વ ખર્ચે ગટર પર ઢાંકણ મુકાવ્યા છે. ગટર છલકાવાની સમસ્યાને કારણે સ્થાનિકો અહીથી પસાર થવામાં હાલાકી વેઠી રહ્યા છે. મહત્વની વાત એછેકે, અન્ય રસ્તાઓનું નવીનીકરણ કરવામા આવ્યું છે પરંતુ આ શેરીના રોડ નું નવીનીકરણ કરવામાં આવ્યું નથી, જેથી આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.