પાક મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર ભારતીય જળસીમા નજીક થી ગુજરાતની ફિશિંગ બોટોના અપહરણ કરવાની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી 3 બોટના અપહરણ થયા છે.
બંદૂકના નાળચે તમામને બંધક બનાવ્યા
આ અંગે પોરબંદર માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્ર ની કેટલીક ફિશિંગ બોટો ગ્રુપ માં ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીન સિક્યુરીટી ની શીપ ત્યાં ઘસી આવી હતી અને બંદુકના નાળચે ત્રણ બોટ અને તેમાં રહેલા 18 જેટલા ખલાસીઓના અપહરણ કરી કરાચી તરફ લઇ જવાયા છે.
માછીમારોમાં રોષ ભભૂક્યો
અપહરણમાં 2 પોરબંદરની ફિશિંગ બોટ અને 1 વેરાવળની ફિશિંગ બોટ હોવાનુ જાણવા મળે છે. અપહરણ કરાયેલ બોટો ના કે ખલાસીઓ ના નામ હજુ સુધી જાણી શકાયા નથી. ગત તા. 13ના રોજ પાક મરીન સિક્યુરિટી દ્વારા પણ સૌરાષ્ટ્રની 3 બોટ અને 17 માછીમારોના અપહરણ કર્યા હતા જેમાં પોરબંદરની 2 બોટ હતી. માછીમારોમા રોષ ભભૂકી ઉઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.