પોરબંદરમાં પશુ પકડવાની કામગીરી ચૂંટણી સુધી ઠેલાણી છે. શહેરમાં આખલાનો ત્રાસ વધ્યો ત્યારે ચૂંટણી પછી કામગીરી શરૂ થશે તેવું ટીમ દ્વારા જણાવાયું છે. રાજ્ય સરકારના આદેશ બાદ પોરબંદર પાલિકા તંત્રની ટીમ દ્વારા શહેરમાં રસ્તે રઝળતા પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી અને કુલ 92 જેટલા પશુને પકડી ઓડદર સ્થિત પાલિકા હસ્તકની ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા હતા. બાદ આ કામગીરી બંધ કરવામાં આવી હતી.
છેલ્લા દોઢેક માસ સુધી પશુ પકડવાની કામગીરી બંધ રહ્યા બાદ પાલિકાની પશુ પકડવાની ટીમે કામગીરી શરૂ કરી ત્રણ દિવસમાં વધુ 25 જેટલા પશુને પાંજરે પૂરી ઓડદર સ્થિત ગૌશાળા ખાતે મૂકી આવવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી. બાદ તહેવાર દરમ્યાન આ કામગીરી બંધ રાખવામાં આવી હતી અને તહેવાર બાદ ફરીથી પશુ પકડવાની કામગીરી પોલીસને સાથે રાખીને શરૂ કરવામાં આવશે તેવું ટીમે જણાવ્યું હતું. પરંતુ તહેવાર બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી અને ચૂંટણી જાહેર થતા આ કામગીરી ટલ્લે ચડી છે.
પશુ પકડવાની ટીમે જણાવ્યું છેકે, હાલ ચૂંટણી જાહેર થતા ચૂંટણી કામમાં વ્યસ્ત હોય જેથી હવે ચૂંટણી પૂરી થયા બાદ પશુ પકડવાની કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવશે તેવું ટીમે જણાવ્યું છે. ઉલેખનીય છેકે, હાલ શહેરમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આખલા પકડવાની કામગીરી વેગવંતી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.