પોરબંદરમાં એસવીપી રોડ પર આવેલ કેનેરા બેંકનું એટીએમ ઘણા સમયથી બંધ છે. અને જ્યારે એટીએમ ચાલુ હોય ત્યારે તેમાં રૂપિયા હોતા નથી જેથી યોગેશભાઇ થાનકી અને નિર્મળાબેન મહેશ્વરી નામના બેંકના ગ્રાહક આ અંગેની રજુઆત કરવા બેંકના મેનેજર પાસે પહોંચ્યા હતા. ગ્રાહકોએ જણાવ્યું હતું કે મેનેજર સહિતના સ્ટાફે તેઓની સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને ગ્રાહકોની વાત કાને ધરવાને બદલે ગ્રાહકોને કહ્યું કે અમારો ફોલ્ટ નથી. ઉપરથી ફોલ્ટ છે તેમ જણાવી ગ્રાહકને તેના એકાઉન્ટ બંધ કરી દેવા અને બેંકના સ્ટાફને એકાઉન્ટ બંધ કરવાનું ફોર્મ આપવા જણાવી દીધું હતું.
આ દરમ્યાન એક મહિલા ગ્રાહક પણ આવી પહોંચી હતી અને બેંકના મેનેજરને ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેણીની માતા બીમાર છે અને રૂપિયા લેવા 1 કલાકથી આવી છું પરંતુ હજુસુધી રૂપિયા આપ્યા નથી. આમ બેંકના ગ્રાહકો સાથે સ્ટાફનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને એટીએમ બંધ અંગેની ગ્રાહકોએ ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ કરી છે. મેનેજરે કબુલ્યું હતું કે ગ્રાહકને એકાઉન્ટ બંધ કરવાની વાત કહી હતી. એટીએમ સોફ્ટવેરનો ઇસ્યુ છે જેથી રીપેરીંગ માટે કમ્પ્લેઇન કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.