રાણાવાવ ગામે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં આવેલ ચીમનીમાં દુર્ઘટના ઘટતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 શ્રમિક ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાંથી 2 શ્રમિકને ગંભીર ઈજા થતા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં સારવાર દરમ્યાન વધુ 1 શ્રમિકનું મોત નીપજ્યું છે.
રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ગત ગુરુવારે બપોરે 3:15 કલાકે દુર્ઘટના ઘટી હતી. 85 મીટરની ચીમનીમાં કામ પૂર્ણ થતાં માચડો છોડાવવા જતા પાઇપ સાથે માચડો પડતા ચીમની વચ્ચે 6 શ્રમિકો દટાઈ ગયા હતા અને આ શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. 9 કલાકના રેસ્ક્યુ બાદ ચીમની માંથી 3 શ્રમિકના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં બિરસિંહ જાટવ, સુનિલ કુશવાહ, બ્રજેન્દ્ર મુનિરામ જાટવના મોત થયા હતા. જ્યારે 3 શ્રમિક જીવંત નીકળ્યા હતા.
આ ત્રણ ઈંજાગ્રસ્ત શ્રમિકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જેમાંથી દારાસિંગ રજાકને મલ્ટીપલ ફેક્ચર તથા કપ્તાનસિંધ રજાકને હેડ ઈંજરી સહિતની ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન દારાસિંગ માખન રજાક નામના શ્રમિકનું મોત થયું છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં મૃત્યુ આંક 4એ પહોંચ્યો છે. આ ચારેય શ્રમિક મધ્યપ્રદેશના ઈકલોદ ગામના છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.