પોરબંદરમાં 551 મહિલા સહિત 1551 લોકોએ રક્તદાન કર્યુ છે. હનુમાન જયંતી પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રેકોર્ડ બ્રેક લોહીની બોટલ એકત્રિત કરાઇ છે. પોરબંદરમાં બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, સુદામા ચોક પાસે આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણીને લઈને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
હનુમાન જયંતી પ્રસંગે સ્વ લીલાબેન ગોપલાણી તથા સ્વ માલતીબેન બાપોદરાની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ દિવસે 850 જેટલી લોહીની બોટલ એકત્રિત કરવામાં આવી હતી, અને બીજા દિવસે પણ રક્તદાતા ઉમટી પડતા રેકોર્ડ બ્રેક 1551 જેટલી લોહીની બોટલ એકત્રિત થઈ હતી. બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી પ્રસંગે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં 551 જેટલા મહિલાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં આયોજકો દ્વારા 450 જેટલા રક્તદાતાઓ હિમોગ્લોબીનની માત્રા યોગ્ય ન હોવાના કારણે તેમજ ડાયાબિટીસ તથા બીપી વગેરે હોવાથી તેમનું લોહી લઈ ન શકાતા આ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આયોજકોએ બે હાથ જોડીને લોકોની સંખ્યા વધી ના પાડી હતી. અમદાવાદની રેડ ક્રોસ બ્લડ બેન્કની કેપેસીટી પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આશા ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આવેલ બ્લડ બેન્ક સ્ટાફ દ્વારા આ રક્તદાન કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે આયોજકોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.