સિદ્ધપુર તાલુકામાં નેદરા ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં સરસ્વતી નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હલકી ગુણવત્તાની પાઇપો નાંખી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો પંચાયતના સદસ્ય ઝાહેદાબેન નાંદોલિયા દ્વારા આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.
ગ્રામ પંચાયતના સદસ્ય ઝાહેદાબેન નાંદોલિયા અને અબ્બાસ મોહમ્મદ શરીફે જણાવ્યા મુજબ સરસ્વતીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે જિલ્લા ડેલિગેટની અનુદાન અંગભૂત યોજનાની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખની મંજૂર થયેલ છે જેની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં પાઇપ અને પાઇપની રિંગો એકદમ નબળી અને તૂટેલી જણાઈ આવી હતી.
આ અંગે સરપંચ ઉસ્માનભાઈ નાંદોલિયા અને તલાટીનું ધ્યાન દોર્યું હતું જેમાં સરપંચે કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી દીધું હતું. જ્યારે કોન્ટ્રાકટરે અમારે 30થી 35 ટકા વહેંચણી કરવામાં જાય છે જેથી કામ આવી ગુણવત્તા વાળું જ થશે તેવો જવાબ આપ્યો હતો તેમ રજૂઆતમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.