પાટણના ચાણસ્મા હાઈવે પર આવેલા ઓવરબ્રીજ નજીક રેલવેની ટક્કરથી રામનગર વિસ્તારમાં રહેતા યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ મળતી માહિતી મુજબ વહેલી સવારે સાબરમતીથી ભગત કી કોઠી તરફ જઈ રહેલી ટ્રેન પાટણ તરફ આવી રહી હતી. તે સમયે વહેલી સવારે 5 વાગે પાટણ શહેરના ચાણસ્મા રેલવે ઓવર બ્રિજ નજીક આવેલા અંબિકા સોસાયટી પાસેની ટ્રેક પર રેલવેના ગાર્ડે રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકની કપાઈ ગયેલા હાલતમાં લાશ જોવા મળતા તેણે આ અંગે પાટણ રેલવેના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. જેથી સ્ટેશન માસ્તરે આ બાબતે પાટણ રેલવે પોલીસને જાણ કરી હતી.
ત્યારબાદ પાટણ રેલવે પોલીસના કર્મચારીઓએ સ્થળ પર જઇ તપાસ કરતા મૃતક યુવક વિક્રમ ભાઈ તેજાજી ઠાકોર ઉંમર વર્ષ 33 રહે .રામનગર ના ભદ્રાડા વિસ્તાર ,પાટણ શહેર વાળો હોવાની ઓળખ થઈ હતી અને ટ્રેનની ટક્કર વાગવાથી તેના બે પગ કપાઈ ગયા હતા અને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હોવાથી પંચ નામું કરી મૃતકની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યું હતું.
મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નિતેશકુમાર ચલાવી રહ્યા છે. તેમજ મૃતકની લાશને તેના વાલીવારસોને સોંપવામાં આવી હતી. તેમ પાટણ રેલવે પોલીસ સ્ટેશનના મહેશ ભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.