વઢિયાર પંથકના રણના કાંધે અડીને આવેલા ખીજડીયારી ગામે પાકા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેથી દંપતી દીવાલ નીચે દટાયા હતા. જેમાં પતિનું મોત થયું હતું. ભત્રીજાની જાન ઉપડવાના 2 કલાક પહેલા જ દુર્ધટનામાં કાકાનું મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામે રહેતા કાન્તિજી બાજુજી અને તેમના પત્ની ગૌરીબેન બીમાર ગાયની દેખરેખ રાખવા તબેલામાં સૂતા હતાં. શનિવારે વહેલી પરોઢે બાજુમાં આવેલા ખોડાજી વજુજીના પાકા મકાનની દીવાલ ધરાશાયી થતાં દંપતી દટાયા હતા. જોકે, સવારે વહેલા કાન્તિજીના ભત્રીજાની જાન જવાની હોવાથી લોકો જાગતા હોઈ તરત બન્નેને બહાર કાઢી શંખેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે કાન્તિજીને મૃત જાહેર કર્યા હતા અને તેમના પત્નીને વધુ સારવાર અર્થે પાટણના ધારપુર રીફર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સવારે પાંચ વાગ્યે મૃતકના ભત્રીજાની જાન જવાની હતી. ત્યારે આ ઘટના બનતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી. આ અંગે શંખેશ્વર પોલીસ મથકે અકસ્માતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ પી. એસ. આઈ. સોલંકી ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.