સિદ્ધપુરના MLAનો મંત્રીમંડળમાં સમાવેશ:બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સોંપાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો કેબિનેટ કક્ષામાં સમાવેશ થયો છે. ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સોંપાયો છે. બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી બે વાર જીત્યા હતા અને એક વાર હાર્યા પણ હતા. બાદમાં 2017માં તેઓ ભાજપમાં આવ્યા બાદ રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા તેમાં પણ તેઓ હાર્યા હતા. જોકે, 2022ની ચૂંટણીમાં બળવંતસિહ રાજપૂતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂતને હરાવીને 2753 મતે જીત મેળવી હતી.

બળવંતસિંહ ત્રીજી વાર સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા
બળવંતસિંહ રાજપૂત મૂળ સિદ્ધપુરના વતની છે. તેમનો જન્મ 1 જૂન 1962માં થયો હતો. જેમણે ગ્રેજ્યુટ સુધીનો અભ્યાસ કરેલો છે. ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓના તેઓ જાણકાર છે. 34 વર્ષની ઉંમરમાં તેઓ સિદ્ધપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની ચૂંટણી જીતીને 1995માં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. યુવાન અવસ્થામાં તેમને રાજકારણમાં પગ મુક્યો હતો. તેઓ કોંગ્રેસમાં વિધાનસભાના દંડક સુધી પદ મેળવી ચૂક્યા છે. તો ભાજપમાં તેઓ જીઆઇડીસીના ચેરમેન પણ રહ્યા હતા. આ વિધાનસભાની ચૂંટણી જીતી ત્રીજી વાર સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા છે.

બળવંતસિંહ રાજપૂતની રાજકીય સફર
બળવંતસિંહ રાજપૂત સૌપ્રથમ 1981માં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ 1982માં શહેરના યુવા પ્રમુખ બન્યા હતા. 1995માં સૌપ્રથમ નગરપાલિકાના કોર્પોરેટરની ચૂંટણી જીતી રાજકારણમાં પગ મુક્યો હતો. ત્યારબાદ પાલિકા પ્રમુખ પછી 2002માં કોંગ્રેસમાંથી પ્રથમવાર ધારાસભ્યની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ફરી 2012માં કોંગ્રેમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2017માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ ભાજપમાં જોડાયા હતા. 2022માં કોંગ્રેસનાં ચંદનજી સામે ભારે રસાકસી બાદ 2753 મતોથી ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...