પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અકસ્માતોની પરંપરા યથાવત રહી છે ત્યારે બુધવારના રોજ રાધનપુરનાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલી ઈકો ગાડીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી ઈકો કાર પલટી ખાઈ જતા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. તેમજ અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.
આકસ્માતની મળતી હકીકત મુજબ અંજારથી અજમેર ઇકો ગાડીમાં જઈ રહેલા મુસ્લિમ પરિવારની ઈકો ગાડી બુધવારના રોજ રાધનપુર વારાહી નેશનલ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા ઈકો માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક અબ્બાસ અલી શેખનું મોત નીપજ્યું હતું. જ્યારે ઇકો ગાડીમાં બેઠેલા અન્ય શખ્સોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.
આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.